સુરેન્દ્રનગરઃ લીંબડીના રળોલ ગામે ભયાનક આગ લાગતા 3 લોકોના મોત
અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રળોલ ગામે આગની ઘટના સામે આવી છે. રળોલ ગામમાં એક પીકઅપ વાન અને મકાનમાં આગ લાગવાથી 3 લોકોના મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ એક પીકઅપ વાનમાં અચાનક આગ લાગી જતા તેણે વિકરાળ રુપ ધારણ કર્યું હતું. આ આગ એટલી વિકરાળ બની કે, એક મકાન પણ આગની લપેટમાં આવ્યું હતું. તેના કારણે આગના લીધે 3 જિંદગી હોમાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા લીંબડી અને સુરેન્દ્રનગરની ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.
- DySP, ડેપ્યુટી, કલેક્ટર, અને લીંબડીના ધારાસભ્ય ઘટના સ્થળે
લીંબડી તાલુકાના રળોલ ગામમાં આગની ઘટનાની જાણ થતા DySP, ડેપ્યુટી, કલેક્ટર, અને લીંબડીના ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે આગની ઘટનામાં ડીઝલના લીધે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે ઘરમાં રહેલા ગેસના બાટલામાં બ્લાસ્ટ થતાં આગે ભયાનક સ્વરુપ ધારણ કરી લેતા 3 લોકોની ગંભીર હાલત થઈ ગઈ હતી. જેથી તેમના મોત થયા છે.
- આગની ઘટનાને લીધે ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ
આ 3 લોકોને લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તે ઉપરાંત અન્ય 1 વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં તેને લીંબડી તેમજ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો હતો. આગ ક્યાં લાગી અને તે કઈ રીતે લાગી તે અંગે ફાયર વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે, તેવું તંત્ર દ્વારા જોવા મળ્યું છે. આગની ઘટનાને લીધે ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.