રોહિંગ્યા મામલે સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ, ઘુસણખોરો માટે રેડ કાર્પેટ પાથરવા માંગો છો?
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે રોહિંગ્યા શરણાર્થીઓના કેટલાક લોકો લાપતા હોવા અંગે દાખલ થયેલી જનહિતની અરજી પર મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કેન્દ્ર સરકારને નોટિસ જારી કરવાની માંગને ફગાવી હતી. અરજીમાં કેન્દ્રને આ મામલે તપાસ અને કાર્યવાહી કરવા નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી હતી. પરંતુ સર્વોચ્ચ અદાલતે આ મુદ્દે તાત્કાલિક સુનાવણી કરવા ઇનકાર કર્યો હતો.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં અરજદારને ટોકતાં કહ્યું કે, “તમને ખબર છે કે તેઓ ઘુસણખોર છે. ભારતની ઉત્તર સીમાઓ ખૂબ સંવેદનશીલ છે. તમે જાણો છો દેશમાં શું ચાલી રહ્યું છે. જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરે, તો પણ તમે તેમના માટે રેડ કાર્પેટ પાથરવા માંગો છો?” “તેઓ સુરંગો દ્વારા દેશમાં ઘુસે છે અને પછી રહેવાનું, ખાવાનું, બાળકોના શિક્ષણ સહિતના અધિકારોના હકદાર બની જાય છે. શું આપણે કાયદાની હદને એટલી ખેંચવી જોઈએ? આવા કેસોમાં હેબિયસ કોર્પસ જેવી માંગ કરવી કલ્પિત વાત છે.” અદાલતે સ્પષ્ટ કર્યું કે હાલ માટે આ મામલે કોઈ આદેશની જરૂર નથી અને સુનાવણી મુલત્વી રાખી હતી.