સુપ્રીમ કોર્ટને મળશે નવા 3 ન્યાયમૂર્તિ, કોલેજિયમની ભલામણને રાષ્ટ્રપતિએ આપી મંજુરી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં ટૂંક સમયમાં 3 નવા ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવશે. રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલી ભલામણો સ્વીકારી લીધી છે. જે 3 ન્યાયાધીશોની નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે તેમાંથી 2 વિવિધ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે, જ્યારે એક હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ છે.
રાષ્ટ્રપતિએ આ 3 ન્યાયાધીશોને સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરવાની ભલામણને મંજૂરી આપી છે તેમાં જસ્ટિસ એન.વી. અંજારિયા, મુખ્ય ન્યાયાધીશ, બોમ્બે હાઇકોર્ટ (મૂળ હાઇકોર્ટ, ગુજરાત), જસ્ટિસ વિજય બિશ્નોઈ, મુખ્ય ન્યાયાધીશ, ગુવાહાટી હાઇકોર્ટ (મૂળ હાઇકોર્ટ, રાજસ્થાન) અને જસ્ટિસ એ.એસ. ચાંદુરકર, બોમ્બે હાઇકોર્ટનો સમાવેશ થાય છે.
જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ મુખ્ય ન્યાયાધીશ બન્યા પછી, 5 ન્યાયાધીશોના કોલેજિયમની પ્રથમ બેઠક 26 મેના રોજ યોજાઈ હતી. જસ્ટિસ બી.વી. નાગરત્ના આ કોલેજિયમમાં નવા સભ્ય તરીકે જોડાયા હતો. જસ્ટિસ અભય એસ ઓકાની નિવૃત્તિ પછી, જસ્ટિસ નાગરત્ના હવે 5 સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોમાંના એક બની ગયા છે.
હાલમાં સુપ્રીમ કોર્ટમાં મંજૂર 34 ન્યાયાધીશોમાંથી 3 પદ ખાલી હતા. નવી નિમણૂકો પછી સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધીને 34 થશે. જોકે, જસ્ટિસ બેલા ત્રિવેદીનો કાર્યકાળ 9 જૂને પૂરો થઈ રહ્યો છે. તેમના માટે ઔપચારિક વિદાય બેંચનું આયોજન કરવામાં આવ્યું છે. તેમની નિવૃત્તિ પછી, એક પદ ખાલી થઈ જશે.