શંકાસ્પદ બાંગ્લાદેશીની અટકાયત ઉપર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુરુવારે બાંગ્લાદેશી નાગરિક હોવાની શંકાને આધારે બંગાળી ભાષી સ્થળાંતર કામદારોની અટકાયત પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે જો કોઈ ઘુસણખોર ગેરકાયદેસર રીતે સરહદ પાર કરે છે અને તેને અટકાયતમાં લેવામાં નહીં આવે, તો તે ગાયબ થઈ જશે અને તેને ફરીથી શોધવાનું મુશ્કેલ બનશે. ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચે આ ટિપ્પણી કરી અને કહ્યું કે આ મામલે ઉતાવળમાં કોઈપણ વચગાળાનો આદેશ આપવો ખતરનાક સાબિત થઈ શકે છે.
બેન્ચે સ્પષ્ટ કર્યું કે આ સમયે સ્ટે એવા લોકોને પણ ફાયદો પહોંચાડી શકે છે જેઓ ખરેખર બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે આવ્યા છે અને જેમને કાયદા હેઠળ પાછા મોકલવા જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું કે રાજ્યોને તેમના મૂળ રાજ્યના આ કામદારોની ઓળખ અને કાયદેસરતા તપાસવાનો અધિકાર છે. પરંતુ સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે આવા લોકો તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી દેખરેખ વિના ફરવા લાગે છે.