પક્ષપલટા કેસમાં એક અઠવાડિયામાં તેલંગાણાના સ્પિકરને નિર્ણય લેવા સુપ્રીમ કોર્ટે કર્યો નિર્દેશ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે તેલંગાણા વિધાનસભાના કેસ પર કડક વલણ અપનાવ્યું, જેમાં પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ BRSમાંથી કોંગ્રેસમાં સામેલ થયેલા 10 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરાઈ.
મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈની આગેવાની હેઠળની બેન્ચે તેલંગાણા વિધાનસભાના સ્પીકરને ચેતવણી આપી હતી કે જો એક અઠવાડિયામાં નિર્ણય નહીં આવે તો તેને કોર્ટનો તિરસ્કાર ગણાશે.
ગયા વર્ષે તેલંગાણા વિધાનસભાની ચૂંટણીઓ બાદ, 10 BRS ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા બાદ, BRSએ આ તમામ ધારાસભ્યો સામે દસમી અનુસૂચિ હેઠળ ગેરલાયક ઠેરવવાની માંગ કરતી અરજી સ્પીકરને કરી હતી. એક વર્ષથી વધુ સમય વીતી ગયો છતાં સ્પીકરે કોઈ નિર્ણય લીધો નથી.
સ્પીકરથી નારાજ થઈને, સુપ્રીમ કોર્ટે 31 જુલાઈ, 2025 ના રોજ સ્પીકરને સ્પષ્ટપણે ત્રણ મહિનાની અંદર, એટલે કે ઓક્ટોબરના અંત સુધીમાં આ મામલો ઉકેલવાનો નિર્દેશ આપ્યો. સોમવારે જ્યારે આ મામલાની સુનાવણી થઈ, ત્યારે સ્પીકરે જણાવ્યું કે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આનાથી CJI ગુસ્સે થયા.
તેમણે કડક શબ્દોમાં કહ્યું, "કાં તો સ્પીકરે એક અઠવાડિયાની અંદર નિર્ણય લેવો જોઈએ અથવા પોતે નક્કી કરવું જોઈએ કે તેઓ નવું વર્ષ (2026) ક્યાં વિતાવવા માંગે છે." કોર્ટે સ્પષ્ટપણે સૂચવ્યું હતું કે જો વિલંબ ચાલુ રહેશે તો કોર્ટના નિર્ણયનાં તિરસ્કારની કાર્યવાહી થઈ શકે છે. સ્પીકરને જેલની સજા પણ થઈ શકે છે.
કોર્ટે એવી પણ ટિપ્પણી કરી હતી કે શાસક પક્ષને ફાયદો પહોંચાડવા માટે સ્પીકર જાણી જોઈને નિર્ણય લેવામાં વિલંબ કરી રહ્યા છે. બેન્ચમાં હાજર ન્યાયાધીશ પી.એસ. નરસિંહા અને સંજય કરોલે પણ સ્પીકરના વલણથી નારાજગી વ્યક્ત કરી હતી.