સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચાર ભવનોમાં છતમાંથી પોપડા પડતા વિદ્યાર્થીઓમાં ભય
- યુનિના 4 દાયકા જૂના ભવનો જર્જરિત બન્યા,
- કેટલાક ભવનોમાં છતમાંથી પાણી ટપકે છે,
- યુનિએ બાંધકામ વિભાગને ત્વરિત કાર્યવાહી કરવા સુચના આપી
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેટલાક ભવનો ચાર દાયકાથી જુના છે. તેથી સામાન્ય વરસાદમાં પણ ભવનોના ધાબા પરથી પાણી ટપકવા લાગે છે. જ્યારે એક ભવનમાં તો પોપડા પડી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ડર અનુભવી રહ્યા છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોષીએ જણાવ્યું હતું કે, 'સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અમુક ભવનોમાં ચોમાસામાં વરસાદને કારણે છતમાંથી પાણી ટપકવા ઉપરાંત ભેજની સમસ્યા ધ્યાને આવી છે. જેથી બાંધકામ વિભાગ આ બાબતે કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટ, જે યુજીસી માન્ય સેન્ટર ઑફ એડવાન્સ સ્ટડી પણ છે, તેની સ્થિતિ અત્યંત દયનીય છે. વર્ષ 1969માં સ્થપાયેલું આ 2 માળનું બિલ્ડિંગ 56 વર્ષ જૂનું છે. વરસાદને કારણે આ ભવનના ઉપરના માળે (જ્યાં બાયોસાયન્સ મ્યુઝિયમ, વર્ગખંડો અને અધ્યાપકોની ઓફિસો આવેલી છે) ત્યાં છતમાંથી લોખંડના સળિયા દેખાવાની સાથે ભારે ભેજ અને જીવતા વીજ વાયરો ખુલ્લા પડી ગયા છે, જે ગંભીર જોખમ ઊભું કરે છે. પરિણામે, ઉપરના માળે ભણતા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને APJ અબ્દુલ કલામ સેન્ટરમાં શિફ્ટ કરવા પડ્યા છે. આ ઉપરાંત મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન, જેની સ્થાપના 20/11/1989ના રોજ થઈ હતી (35 વર્ષ જૂનું), ત્યાં પણ પરિસ્થિતિ ગંભીર છે. આ ભવનમાં લેબોરેટરી, લાઇબ્રેરી અને બે વર્ગખંડમાં છતમાંથી વરસાદી પાણી ટપકે છે. લેબોરેટરીમાં તો છતમાંથી પોપડા ઉખડી ગયા છે અને લોખંડના સળીયા દેખાઈ રહ્યા છે. ચાલુ વરસાદે અહીં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તેવી પરિસ્થિતિ જ નથી, જેના કારણે લેબોરેટરીના સાધનો અને બેન્ચ સાચવીને રાખવા પડે છે. લાઇબ્રેરીમાં પણ વરસાદી પાણીને કારણે પુસ્તકોને ભેજ લાગી નુકસાન પહોંચવાની ભીતિ છે.
બાયોસાયન્સ અને મનોવિજ્ઞાન ભવન ઉપરાંત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા 46 વર્ષ જૂના કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ (વર્ષ 1979 નિર્મિત)માં પણ છતમાંથી ભેજ પડવા સહિતની સમસ્યા જોવા મળી હતી, અને બહારની દીવાલોમાં પણ તિરાડો પડી છે. 46 વર્ષ જૂના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં પણ પ્રવેશતાની સાથે જ છતમાં ભેજ અને પાણી પડતું જોવા મળ્યું હતું. આ તમામ ભવનોમાં છતમાંથી પાણી ટપકવાનું મૂળ કારણ એ છે કે યુનિવર્સિટીના તમામ ભવનોની અગાસી ઉપર ખૂબ જ હલકી કક્ષાનો ડામર પાથરવામાં આવ્યો છે. આ અગાસીઓ ઉપર ચોમાસા દરમિયાન પાણી ભરાવાને કારણે તે નીચે ભવનોમાં ઉતરે છે, અને તેથી અધ્યાપકો તથા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડે છે.