ગુજરાત યુનિવર્સિટીમાં પરિણામના 25 દિવસ બાદ માર્કશીટ ન મળતા વિદ્યાર્થીઓને મુશ્કેલી
- BA-B.COM-BBA-BCA સહિતના કોર્સના રિઝલ્ટના 25 દિવસ બાદ પણ માર્કશીટ મળી નથી,
- NSUI દ્વારા યુનિવર્સિટી સત્તાધીશોનો ધેરાવ કરાશે,
- ગુજરાત યુનિવર્સિટીના રેઢિયાળ તંત્રને લીધે હજારો વિદ્યાર્થીઓ મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની લાપરવાહીને કારણે બીએ, બીકોમ, બીસીએસ બીબીએ સહિતની વિદ્યાશાખાના પરિણામો જાહેર થયાને 25 દિવસ થયા છતાયે વિદ્યાર્થીઓને હજુ માર્કશીટ મળી નથી. આથી બહારની યુનિવર્સિટીઓ કે કોલેજોમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ જો વહેલાસર વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં નહી આવે તો યુનિવર્સિટીના સત્તાધિશોનો ઘેરાવ કરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગયા માર્ચમાં લેવાયેલી બીએ, બીકોમ, બીબીએ, બીસીએ સહિતના વિવિધ અભ્યાક્રમોની અંતિમ સેમેસ્ટરના પરિણામો જાહેર થયાના 25 દિવસ વીતી ગયા છતાં 40 હજારથી વધુ વિદ્યાર્થીનીઓ માર્કશીટથી વંચિત છે. જેના લીધે તેઓને આગળના અભ્યાસક્રમમાં રાષ્ટ્રીય અને વિદેશી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે મોટી સમસ્યા ઉદ્દભવી છે. માર્કશીટ ક્યારે મળશે તેની પૂછતાછ કરવા વિદ્યાર્થીઓને સંતોષકારક જવાબ મળતો નથી.
આ અંગે એનએસયુઆઈના પૂર્વ રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્યની વિવિધ યુનિવર્સિટી અને ખાસ કરીને ગુજરાત યુનિવર્સિટીના રેઢિયાળ તંત્રને લીધે હજારો વિદ્યાર્થી–વિદ્યાર્થીનીઓ દર વર્ષે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેમ છતાં દર વર્ષે યુનિવર્સિટીનું તંત્ર કોઈપણ પ્રકારે વ્યવસ્થા સુધારવાનું નામ લેતા નથી. આગામી એક સપ્તાહમાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને તેમની માર્કશીટ ઉપલબ્ધ કરાવવામાં નહિ આવે તો NSUI દ્વારા યુનિવર્સિટી સત્તાધીશોનો ધેરાવ કરવામાં આવશે.