રાજકોટ શહેર - જિલ્લામાં સ્ટેપ ડ્યુટીની ચોરી પકડવા ઝૂબેશ, 1.07 કરોડનો દંડ કરાયો
- દરેક વિસ્તારના જંત્રી દર નક્કી છતાં સ્ટેમ્પ ડ્યુટી બચાવવા છટકબારી,
- રાજકોટ શહેર-જિલ્લાના 18 લોકોએ સ્ટેમ્પ ડ્યૂટી ચોરી કરતા ડેપ્યુટી કલેક્ટરની કાર્યવાહી,
- સ્ટેમ્પ ડ્યુટી વધુ ન ભરવી પડે તે માટે દસ્તાવેજમાં ઓછું બાંધકામ બતાવ્યું
રાજકોટઃ શહેર અને જિલ્લામાં સ્ટેમ્પ ડ્યુટીની આવક વધારવા માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન કેટલાક મિલકધારકો પોતાની મિલ્કતોનું ઓછું ક્ષેત્રફળ દર્શાવીને સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરાતી હોવાની ફરિયાદો ઉઠતા સ્ટેમ્પ ડ્યૂટી ચોરી પકડી પાડવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગઈકાલે ગુરુવારે 18 આસામીએ સ્ટેમ્પ ડ્યૂટી ચોરી કરી હોવાનું બહાર આવતા તેઓને રૂ.1.07 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. સ્ટેમ્પ ડ્યૂટી કરનારે બાંધકામ ઓછું બતાવી દસ્તાવેજની નોંધણી કરાવી દીધી હતી. ત્યારબાદ ઓડિટમાં બહાર આવ્યું હતુ. સ્થળ પર તપાસ કરતાં સ્ટેમ્પ ડ્યૂટીની ચોરીનું કૌભાંડ પકડાયું છે.
સ્ટેમ્પ ડ્યૂટી વિભાગના નાયબ કલેક્ટરના કહેવા મુજબ શહેર અને જિલ્લામાં બાંધકામ ઓછુ દર્શાવીને સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરાતી હોય છે. આથી વેચાણ મિલ્કતોનું ઓડિટ કરતા સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી પકડાઈ હતી. અરજદારોને પહેલા નોટિસ આપવામાં આવી હતી અને ખુલાસો આપવા જણાવ્યું હતું. આમ છતાં તેઓ તરફથી કોઇ જવાબ નહિ આવતા સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. દરેકે કેસમાં અલગ-અલગ રીતે સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી બહાર આવી છે.
ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 39 (1,ખ ,2) ની જોગવાઈ અનુસાર બાકી વસૂલાતની રકમ હુકમ કર્યા તારીખથી 90 દિવસ સુધીમાં સ્ટેમ્પ ડ્યૂટીની રકમ ભરપાઈ નહિ કરવામાં આવે તો તેના પર 12 ટકાના દરે વ્યાજ લાગુ પડી શકે છે અને સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી કરનારે દંડની સાથે વ્યાજની પણ ભરપાઈ કરવાની રહેશે. સામાન્ય રીતે સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી થાય છે કે નહિ ? તેની નિયમિત તપાસ થતી હોય છે. જે દસ્તાવેજોની નોંધણી થાય તેની ચકાસણી પણ થતી હોય છે. તેમજ કેટલાક એડવોકેટ જમીન-મકાન ખરીદી કરનારા લોકોને ગેરમાર્ગે દોરતા હોય છે, પરંતુ દરેક બાબતોનું નિરીક્ષણ કરાતું હોય છે અને સિસ્ટમ સાથે ડેટા પણ મેચ કરાતો હોય છે. કુલ 18 આસામીને નોટીસ ફટકારવામાં આવી છે. અમુક લોકોએ બિલ્ટઅપને બદલે કાર્પેટ વિસ્તાર મુજબ દસ્તાવેજોની નોંધણી, એક વ્યક્તિએ ખોટી જંત્રી બતાવી બેંકમાંથી કરોડો રૂપિયાની લોન પણ લઈ લીધી હોવાનું ખુલ્યું છે. આ રીતે સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી કરતાં હોવાનું સામે આવ્યું છે. તેમજ સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. સરકાર દ્વારા દરેક વિસ્તારના જંત્રી દર નક્કી કરાયા છે આમ છતાં અમુક તત્ત્વોએ તેમાં છટકબારી શોધી ઓછી સ્ટેમ્પ ડ્યૂટી ભરી હતી.