ઉનાળાના વેકેશનમાં એસટીએ લોન્ચ કરી યોજના, નિયત ભાડામાં મનફાવે ત્યાં ફરો
- એસ.ટીની લોકલ-એક્સપ્રેસ-ગુર્જરનગરી બસોમાં સાત દિવસ માટે પેકેજ
- AC સીટર બસોમાં પુખ્તવયનાં નાગરીકો સાત દિવસ મુસાફરીનનું 3685 ભાડું
- ઓછા ભાડામાં પ્રવાસીઓ 4 દિવસનું પેકેજ પણ લઈ શકશે
અમદાવાદઃ ઉનાળાના વેકેશનમાં લોકો પર્યટક અને ધાર્મિક સ્થળોએ ફરી શકે તે માટે ગુજરાત એસટીએ નિયત ભાડામાં મન ફાવે ત્યાં ફરો યોજના લોન્ચ કરી છે. આમ તો આ યોજના ગયા વર્ષે પણ અમલમાં મુકવામાં આવી હતી. અને પ્રવાસીઓએ આ યોજનાનો સારોએવો લાભ લીધો હતો. આ યોજનામાં પ્રવાસીઓ એસ.ટીની લોકલ-એક્સપ્રેસ-ગુર્જરનગરી બસોમાં સાત દિવસ મુસાફરી માટે પુખ્તવયના નાગરીકો રૂ.1595 અને ચાર દિવસની મુસાફરી રૂ. 935 ભરીને કરી શકે છે, જ્યારે બાળકો સાત દિવસની મુસાફરી રૂ. 800 અને ચાર દિવસની મુસાફરી રૂ. 470 ભરી એસ.ટીની બસોમાં મુસાફરી કરી શકે છે. પ્રવાસીઓએ લક્ઝરી-નોન એ.સી સ્લીપર કોચમાં સાત દિવસની મુસાફરી કરવા પુખ્તવયના નાગરિકોએ રૂ.1870 અને ચાર દિવસની મુસાફરી કરવા રૂ.1045 ચૂકવવાના રહેશે જ્યારે બાળકોને સાત દિવસની મુસાફરી કરવા રૂ. 935 અને ચાર દિવસની મુસાફરી રૂ.525 ચૂકવવાના રહેશે.
ઉનાળાના વેકેશનમાં રાજ્યના નાગરીકો ગુજરાતની કલા-સંસ્કૃતિ-પ્રવાસન સ્થળોની મુલાકાત કરી શકે તેમજ ઉદ્યોગ એકમો સાથે સંકળયેલા નાગરીકો ગુજરાતમાં પોતાના ઉદ્યોગને વિકસાવવા એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ફરી શકે તે માટે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ‘મન ફાવે ત્યાં ફરો’ યોજના શરૂ કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં ‘મન ફાવે ત્યાં ફરો’ યોજનાનો સૌથી વધુ લાભ અમદાવાદ, રાજકોટ, મહેસાણા અને સુરતનાં પ્રવાસીઓએ લીધો છે. જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં 2580 પ્રવાસીઓના પાસ ઇસ્યુ કરીને નિગમે રૂ.21 લાખથી વધુની આવક મેળવી છે. એમ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં વધુમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર આ યોજના હેઠળ મુસાફરોએ એસ.ટીની લોકલ-એક્સપ્રેસ-ગુર્જરનગરી બસોમાં સાત દિવસ મુસાફરી માટે પુખ્તવયના નાગરીકો રૂ.1595 અને ચાર દિવસની મુસાફરી રૂ.935 ભરીને કરી શકે છે, જ્યારે બાળકો સાત દિવસની મુસાફરી રૂ.800 અને ચાર દિવસની મુસાફરી રૂ. 470 ભરી એસ.ટીની બસોમાં મુસાફરી કરી શકે છે. મુસાફરોએ લક્ઝરી-નોન એ.સી સ્લીપર કોચમાં સાત દિવસની મુસાફરી કરવા પુખ્તવયના નાગરીકોએ રૂ. 1870 અને ચાર દિવસની મુસાફરી કરવા રૂ.1045 ચૂકવવાના રહેશે જ્યારે બાળકોને સાત દિવસની મુસાફરી કરવા રૂ.935 અને ચાર દિવસની મુસાફરી રૂ.525 ચૂકવવાના રહેશે.
આ ઉપરાંત AC સીટર બસોમાં પુખ્તવયનાં નાગરીકો સાત દિવસ મુસાફરી રૂ. 3685 અને ચાર દિવસની મુસાફરી રૂ. 2145 ભાડું આપીને કરવાની રહેશે. બાળકોએ સાત દિવસ મુસાફરી રૂ.1845 અને ચાર દિવસની મુસાફરી રૂ.1075 ભાડું આપીને કરવાની રહેશે. વોલ્વો સીટર બસ માટે પુખ્તવયના નાગરીકો સાત દિવસનું ભાડું રૂ. 5610 અને ચાર દિવસની મુસાફરી રૂ. 3245 ચૂકવીને કરી શકે છે. જ્યારે બાળકોએ સાત દિવસની મુસાફરી રૂ. 2805 ચાર દિવસની મુસાફરી રૂ. 1625 ખર્ચીને કરવાની રહેશે.
આ યોજનાનો લાભ નિગમના કોઈપણ બસ સ્ટેશન-કંટ્રોલ પોઈન્ટ ઉપરથી કામકાજના દિવસોમાં મેળવી શકાશે. આ યોજનાનો પાસ અન્ય વ્યક્તિને તબદિલ કરી શકાશે નહિ, પાસધારક પોતે જ પ્રવાસ કરી શકશે. પ્રવાસ રદ કરવાના સંજોગોમાં પાસ શરુ થવાના એક દિવસ અગાઉ પાસ રદ કરવામાં આવે તો જરૂરી કેન્સલેશન ચાર્જ કાપી બાકી રકમ પરત કરવામાં આવશે. નિગમની એક્સ્ટ્રા બસોમાં આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી. પ્રવાસ દરમિયાન પ્રવાસીએ ઓળખકાર્ડ અને પાસ સાથે રાખવાનો રહેશે તેમજ આ યોજનામાં પાસધારક પાસેથી ટોલટેક્ષની રકમ ફરજ ઉપરના કંડકટરે અલગથી વસુલ કરવાની રહેશે.