અમદાવાદમાં કાળુપુર રેલવે સ્ટેશનના રિ-ડેવલપ કામગીરીને લીધે કેટલીક ટ્રેનોને શિફ્ટ કરાઈ
- 12 સપ્ટેમ્બર સુધી 4 ટ્રેન મણિનગર, વટવા, અસારવાથી દોડશે,
- અનેક ટ્રેનોને સાબરમતી ખાતે સ્ટોપેજ અપાયું,
- ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ડબલડેકર એક્સપ્રેસ મણિનગરથી ઉપડશે
અમદાવાદઃ શહેરના કાળુપુર રેલવે સ્ટેશનનું કરોડો રૂપિયાના ખર્ચે રિ-ડેવલપનું કામ ચાલી રહ્યું છે. જેમાં રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ નંબર 8 અને 9 પર રેલવે ઓવર બ્રિજ અને કોનકોર્સના બાંધકામ માટે પાઈલિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેને કારણે પ્લેટફોર્મ નંબર 8 અને 9 પર 5 જુલાઈથી 12 સપ્ટેમ્બર સુધી મેગા બ્લોક લેવાયો છે. આ બ્લોકને પગલે અમદાવાદ સ્ટેશનથી ઊપડતી કે પસાર થતી કેટલીક ટ્રેનોના ટર્મિનલ બદલી અસારવા, મણિનગર અને વટવા ખાતે શિફ્ટ કરાયાં છે.
શહેરના કાળુપુર રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ નંબર 8 અને 9 પર રેલવે ઓવર બ્રિજ અને કોનકોર્સના બાંધકામ માટે પાઈલિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. એટલે કેટલીક ટ્રેનોને શિફ્ટ કરવામાં આવી છે. આ બ્લોકને પગલે નવજીવન એક્સપ્રેસને અસારવા સ્ટેશને ખસેડાઈ છે. જ્યારે મુંબઈ જતી અન્ય બે ટ્રેનો ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ડબલડેકર એક્સપ્રેસ મણિનગરથી ઉપડશે જ્યારે વટવા ખાતે ટર્મિનેટ થશે. એજ રીતે અમદાવાદથી પસાર થતી અનેક ટ્રેનોને સાબરમતી ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યામુજબ અમદાવાદ સ્ટેશનની શિફ્ટ કરાયેલી ટ્રેનોમાં ટ્રેન નંબર 12655/12656 અમદાવાદ - ચેન્નઈ - અમદાવાદ નવજીવન એક્સપ્રેસ આજથી એટલે કે, 5 જુલાઈથી અસારવા ખાતે શિફ્ટ કરવામાં આવી છે. આ ટ્રેન અસારવાથી 21.05 કલાકે ઉપડશે. એ જ રીતે ચેન્નઈ - અમદાવાદ નવજીવન એક્સપ્રેસ અસારવા સ્ટેશને સાંજે 6.20 વાગે પહોંચશે. ટ્રેન નંબર 12932 અમદાવાદ-મુંબઈ ડબલ ડેકર એક્સપ્રેસ 7 જુલાઈથી મણિનગર સ્ટેશનથી સવારે 5.50 વાગે ઉપડશે. એ જ રીતે ટ્રેન નંબર 12931 મુંબઈ - અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસ 5 જુલાઈથી વટવા સ્ટેશન પર રાતે 9.20 વાગે ટર્મિનેટ થશે. ટ્રેન નંબર 19034 અમદાવાદ - વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ 5 જુલાઈથી મણીનગર સ્ટેશનથી સાંજે 6.20 વાગે ઊપડશે. ટ્રેન નંબર 22953 મુંબઈ - અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ 5 જુલાઈથી વટવા સ્ટેશન પર બપોરે 2.20 વાગે ટર્મિનેટ થશે.