ભાવનગર-વલ્લભીપુરના હાઈવેને ફોરલેન બનાવવાની ધીમી ગતિએ ચાલતી કામગીરી
- સાઇડમાં માટી કામ કરેલો રસ્તો હોવાથી ધુળની ઉડતી ડમરીઓ,
- હાઈનેની બન્ને બાજુ રેતી-કપચી અને માટીના ઢગલાંથી વાહનચાલકો પરેશાન,
- ફોરલેન હાઈવેનું વર્ષોથી ચાલતું કામ ક્યારે પૂર્ણ થશે તે કોઈ કહી શકતું નથી,
ભાવનગરઃ જિલ્લામાં વલ્લભીપુરથી ભાવનગર સુધીના રાજ્ય ધોરી માર્ગને ફોરલેન બનાવવાની લાંબા સમયથી કામગીરી ચાલી રહી છે. અત્યંત ધીમીગતિએ હાઈવેનું કામ ચાલતું હોવાથી કામગીરી ક્યારે પુરી થશે તે કોઈ કહી શકતું નથી. હાઈવે સાઈડ પર માટી, રેતી અને કપચીના ઢગલાં પડેલા હોવાથી તેમજ હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા હોવાથી વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
વલ્લભીપુરથી ભાવનગર તરફ જતા રાજય ધોરી માર્ગ-36 નું ફોરલેન હાઇવે બનાવવાનું કામ હાલમાં તો આડેધડ અને ધીમી ગતિએ ચાલતા વાહન ચાલકો તોબા પોકારી ગયા છે. બીજી બાજુ સિહોર રેલવે ફાટક ઓવર બ્રિજ બનાવવા માટે ફાટક બંધ થતા શિહોર-પાલીતાણા અને ઘાંઘળી સાથે જોડતા હાઇવેનું ટ્રાફિક પણ વરતેજ ફાટક ઉપર થઇને વલભીપુર-અમદાવાદ હાઇવે પર ડાયવર્ટ થતા ટ્રાફિક સમસ્યા સાથે હાઇવેના કામ માટે રસ્તાની બન્ને બાજુ કપચી,રેતી,ડામરવાળી કપચીઓના ઢગલા કરવામાં આવતા વાહન વ્યહાર ખુબ ધીમી ગતિએ ચાલે છે તેમાં અમુક જગ્યાએ ડામરવાળો રસ્તો, તે રસ્તાની સાઇડમાં માટી કામ કરેલો રસ્તો હોવાથી ધુળની ડમરીઓ ઉડે છે જેના કારણે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે.
ભાવનગરથી અમદાવાદ જવા આવવા માટે વર્ષો પહેલા વાહનચાલકો આ સ્ટેટ હાઈવેનો ઉપયોગ કરતા હતા. પણ ભાવનગરથી ધોલેરા અને ત્યાંથી પીપળી થઈને અમદાવાદનો હાઈવે ટનાટન બની જતા હવે મોટાભાગના વાહનચાલકો ભાવનગરથી અમદાવાદ જવા આવવા માટે ધોલેરા હાઈવેનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે પાલિતાણા તરફ જતા વાહનો હાલ વલ્લભીપુર-ભાવનગર હાઈવેનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે આ હાઈવેનું ફોરલેનનું કામ ત્વરિત પૂર્ણ થાય તેવી માગ ઊઠી છે.