અમદાવાદમાં પાલડી વિસ્તારમાં જૈન દેરાસરમાં 1.64 કરોડ કિંમતની ચાંદીની ચોરી
- પૂજારીએ સફાઈકર્મીઓ સાથે મળી 117 કિલોના મુગટ, કુંડળ સહિતનાં ઘરેણાંની ચોરી કરી,
- પૂજારી અને સફાઈ કામદાર ચોરીની ઘટના બાદ ફરાર,
- સીસીટીવીએ ચોરીના ભેદનો પડદાફાસ કર્યો
અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાંથી 117.336 કિલોના ચાંદીના મુગટ, કુંડળ અને ચાંદીના પૂંઠિયા સહિત કુલ 1.64 કરોડ રૂપિયાની કિંમતના દાગીનાની ચોરી થતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે આ બનાવની ત્વરિત તપાસ હાથ દરી હતી. દેરાસરના ટ્રસ્ટીઓ અને પોલીસે હાથ ધરેલી તપાસમાં ચોરી કોઈ અજાણ્યા ચોરે નહીં, પરંતુ દેરાસરના પૂજારી અને બે સફાઈ કર્મચારીઓએ મળીને કરી હતી. કારણે ચોરીની ઘટના બાદ પૂજારી અને બે સફાઈ કર્મચારીઓ લાપત્તા હતા. આ મામલે પાલડી પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
શહેરના પાલડી વિસ્તારમાં આવેલા લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં ‘ઘર કા ભેદી લંકા ઢાયે’ કહેવત સાબિત થઈ છે. દેરાસરમાં ભગવાનને ચઢાવેલા 117.336 કિલોના ચાંદીના મુગટ, કુંડળ સહિતમાં ચોરી થઈ છે, આ દાગીનાની કિંમત 1.64 કરોડ રૂપિયા થાય છે. ચોરી કરનારા કોઈ અજાણ્યો ચોર નહીં, પરંતુ દેરાસરનો પૂજારી અને બે સફાઈકર્મચારીઓ છે. પૂજારીએ સફાઈ કામદારો સાથે મળીને ચોરી કરી હતી. આ અંગે પાલડી પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના પાલડી વિસ્તારમાં આવેલા ન્યુપીનલ પાર્ક સોસાયટીમાં રહેતા રાજેશ શાહે પાલડી પોલીસ સ્ટેશનમાં મેહુલ રાઠોડ (રહે, નંદધામ એપાર્ટમેન્ટ, વાસણા), કિરણ (રહે, હરીચંચલ ફ્લેટ, પાલડી) અને પુરી ઉર્ફે હેત્તલ વિરૂદ્ધ 1.64 કરોડની ચોરીની ફરિયાદ કરી છે. રાજેશ શાહ લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં 14 વર્ષથી સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. થોડા દિવસ પહેલા સવારે 11 વાગ્યાની આસપાસ રાજેશ, તેમજ અલ્પેશ પરીખ સહિતના લોકો દેરાસરની ઓફિસમાં હાજર હતા, ત્યારે તેમને ખબર પડી હતી કે, ભગવાનને ચઢાવવામાં આવેલી આંગી (ચાંદીનું ખોયુ) ગાયબ હતી. 8 ઓક્ટોમ્બરના રોજ દેરાસરમાં શિતલનાથ ભગવાન અને વાસુપુજ્ય સ્વામી ભગવાનને ચઢાવવા માટે આંગી આવી હતી. આંગીને દેરાસરના ભોયરામાં લોકર વાળા રૂમમાં મુક્યુ હતું, જે ગાયબ હતુ. આંગી શોધવા માટે રાજેશ અને અલ્પેશ સહિતના લોકોએ શોધખોળ કરી હતી, ત્યારે તેમને ખબર પડી કે, ભગવાનના મુગટ, કુંડળ પણ ગાયબ છે.
રાજેશ અને અલ્પેશે તરત જ દેરાસરના પૂજારી મેહુલ રાઠોડને શોધવાની કોશિષ કરી હતી, પરંતુ તે પણ ગાયબ હતા. રાજેશે તરતજ દેરાસર ટ્રસ્ટના તમામ સભ્યોને ફોન કરીને ચોરી થયા હોવાની જાણ કરી દીધી હતી. દેરાસરના તમામ ટ્રસ્ટીઓ આવ્યા હતા અને કેટલી વસ્તુઓ ચોરી થઈ છે તે મામલે તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યુ હતું કે, 117.336 કિલો ચાંદી ગાયબ હતી. ટ્રસ્ટીઓએ દેરાસર અને ઉપાશ્રયમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા ઘણી ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. ચોરી દેરાસરમાં પૂજારીનું કામ કરતા મેહુલ રાઠોડે કરી છે. આ સિવાય દેરાસરમાં સફાઈ કામ કરતા કિરણ અને તેની પત્નિ પુરી પણ ગાયબ હતા. મેહુલનો ભાઈ દિનેશ પણ દેરાસરમાં પૂજારી તરીકે નોકરી કરે છે. ટ્રસ્ટીઓએ જ્યારે દિનેશને પૂછ્યુ તો તેણે જવાબ આપ્યો હતો કે, મેહુલ ફોન સ્વીચઓફ કરીને ગાયબ થઈ ગયો છે. ચાંદીના દાગીનાની ચોરી મેહુલ, કિરણ અને પુરીએ કરી હોવાનું પુરાવાર થતા અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પાલડી પોલીસે સમગ્ર મામલે 1.64 કરોડની ચોરીની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.