અમદાવાદમાં જૈન દેરાસરમાં 1.64 કરોડની ચાંદીની ચોરીનો ભેદ ઉકેલાયો, 5ની ધરપકડ
- અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી પૂજારી મેહુલ રાઠોડ સહિત 5ની દબોચી લીધા,
- પોલીસે આરોપીઓ પાસેથી 48 કિલો ચાંદી, રોકડ અને બોલેરો પીકઅપ કબજે કર્યા,
- પૂજારીએ છેલ્લા અઢી વર્ષમાં કટર વડે કટિંગ કરીને 117 કિલોથી વધુ ચાંદી ટુકડે ટુકડે ચોરી લીધું હતું,
અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા શ્રીલક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં 1.64 કરોડની કિંમતના ચાંદીના દાગીના અને જડતરની ચોરીનો ભેદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઉકેલીને મુખ્ય આરોપી પૂજારી મેહુલ રાઠોડ સહિત 5 શખસોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 48 કિલો ચાંદી અને રોકડ રકમ પણ કબજે કરી છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો મળી છે કે, છેલ્લા 15 વર્ષથી પૂજારી તરીકે સેવા આપતા મેહુલે છેલ્લા અઢી વર્ષમાં કટર વડે કટિંગ કરીને 117 કિલોથી વધુ ચાંદી ટુકડે ટુકડે ચોરી લીધું હતું. ચોરીના માલની ઓળખ ન થાય તે માટે વહીવટ કરનારા બે વેપારીઓ ચોરીનું ચાંદી ગાળીને તેના બદલે નવું ચાંદી ખરીદી લેતા હતા.
આ બનાવની વિગત એવી હતી કે, પાલડીમાં આવેલા લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં થોડા સમય અગાઉ દેરાસરના પૂજારી અને સફાઈ કર્મચારી દંપત્તિએ કુલ 1.64 કરોડ રૂપિયાના ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. આ ફરિયાદમાં મંદિરના પૂજારી મેહુલ રાઠોડ, સફાઈ કર્મચારી કિરણ અને તેની પત્ની પુરીનો આરોપી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ફરિયાદ થતા જ પોલીસે સૌપ્રથમ સફાઈ કર્મચારી પુરીની ધરપકડ કરી હતી. જે બાદ કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ ચોરી કેસનો મુખ્ય આરોપી મેહુલ અને કિરણ ફરિયાદ થતાં જ ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે બોલેરો પીકપ સાથે તથા ચોરીના ચાંદી સાથે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપી મેહુલની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, છેલ્લા 15 વર્ષથી દેરાસરમાં પૂજારી તરીકે સેવા આપે છે. અઢી વર્ષ પહેલા મૂર્તિઓની પાછળ જીવાત થતી હોવાથી દેરાસરના ટ્રસ્ટીઓની સૂચના મુજબ મૂર્તિની પાછળનું ચાંદીનું જડતર ઉતારી દેરાસરને નીચેના ભાગે આવેલા ભોયરામાં મૂકી રાખવામાં આવ્યું હતું જેની ચાવી મેહુલ પાસે હતી. તેથી મેહુલ ત્યારથી જ કટર વડે કટીંગ કરી ચાંદી ચોરી કરતો હતો અને સફાઈ કર્મચારી કિરણની મદદથી આ ચાંદી મંદિર બહાર લઈ જતા હતા. મેહુલ ચોરી કરેલું ચાંદી કટર વડે કટીંગ કરીને રોનક શાહ અને સંજય જાગરિયા નામના આરોપીને વેચી દેતો હતો.