માણસામાં આનંદ મેળામાં બાળકના મોત કેસમાં ન્યાય આપવા મૌન રેલી યોજાઈ
- માણસામાં વહિવટી મંજુરી વિના આનંદ મેળો યોજાયો હતો,
- 25મી મેએ મિકી માઉસ બોન્ઝી ફુગ્ગામાં રમતા બાળકો નીચે પટકાયા હતા,
- 5 વર્ષીય બાળકીનું મોત અને એક બાળકીને ગંભીર ઈજા થઈ હતી
ગાંધીનગરઃ જિલ્લાના માણસા શહેરમાં કલોલ રોડ પર કોઈપણ પ્રકારની વહીવટી મંજૂરી વિના આનંદમેળો શરૂ કરવામાં આવ્યો હતો. આનંદ મેળામાં ગઈ તા.31 મેના રોજ રાત્રે વાવાઝોડાના કારણે બાળકો માટે લગાવવામાં આવેલા મિકી માઉસ બોન્ઝી ફુગ્ગામાં રમતા બાળકો નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં બે બાળકીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી, જેમને તાત્કાલિક ધોરણે અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. સારવાર દરમિયાન તેમાંથી એક પાંચ વર્ષીય બાળકીનું મોત નિપજ્યું હતું. આ દુર્ઘટનાને લઈને મૃતક બાળકીના પરિજનો અને શહેરીજનોએ બાળકીના મોત માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી અને બાળકી માટે ન્યાયની માંગ કરતી મૌન રેલી કાઢી હતી.
આ બનાવની વિગત એવી હતી કે, માણસના કલોલ રોડ પર ગત 22 તારીખે કોઈપણ જાતની વહીવટી મંજૂરી વિના શ્યામલાલ રાવળ નામના શખસે બાળકો માટે જુદી-જુદી રાઈડ મૂકી આનંદ મેળો શરૂ કર્યો હતો. શનિવારે રાત્રે આનંદ મેળામાં લગાવવામાં આવેલા મિકી માઉસ બોન્ઝી ફુગ્ગામાં કેટલાક બાળકો રમી રહ્યાં હતાં, ત્યારે અચાનક વાવાઝોડું આવતા આ ફુગ્ગો હવામાં ફંગોળાયો અને તેમાં રમી રહેલા બાળકો નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં માણસામાં રહેતા સંકેતકુમાર પટેલની પાંચ વર્ષની દીકરી કાનવી અને ધોળાકુવા ગામના અક્ષય પટેલની ચાર વર્ષીય દીકરી કાવ્યાને ગંભીર ઈજા થતા બંનેને તાત્કાલિક ધોરણે અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવી. જ્યાં કાનવીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ બનાવ બાદ કોઈપણ પ્રકારની મંજૂરીની વિના શરૂ કરવામાં આવેલા આનંદમેળાના માલિક વિરૂદ્ધ માણસા નાયબ મામલતદારને ફરિયાદ દાખલ કરી હતી. હાલ, પોલીસે આરોપીને ઝડપી જેલના હવાલે કરી દીધો છે. હાલ, આ દુર્ઘટનાથી લોકમાં ભારે રોષ છે. એવામાં બીજી બાજું એવી પણ ચર્ચા શરૂ થઈ છે કે, આ ગેરકાયદ આનંદ મેળો કોના આશીર્વાદથી શરૂ કરાયો હતો? આ દુર્ઘટના માટે જવાબદાર મૂળ સુધી રહેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરી મૃતક દીકરીને ન્યાય મળે તે માટે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મૌનરેલી દરમિયાન લોકોએ કાળી પટ્ટી ધારણ કરી હાથમાં વિવિધ બેનરો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત બાળકો અને શહેરીજનો જોડાયા હતાં.