કડી અને વિસાવદર પેટા ચૂંટણીમાં પરાજ્ય થતાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદેથી શક્તિસિંહનું રાજીનામું
- શક્તિસિંહ ગોહિલે પરિણામની જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું,
- પ્રદેશ પ્રમુખની જવાબદારી શૈલેષ પરમારને સોંપવામાં આવી,
- નવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખો કાર્યકરોને સાંભળીને નક્કી કરાયા છે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થયા છે. કોંગ્રેસને બેમાંથી એકેય બેઠક પર સફળતા ન મળતા શક્તિસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ પક્ષ નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરે ત્યાં સુધી હાલ પૂરતી જવાબદારી દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને સોંપવામાં આવી છે.
કડી અને વિસાવદરની પેટાચૂંટણીનાં પરિણામો જાહેર થયાંના 4 કલાકમાં જ શક્તિસિંહે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું છે. શક્તિસિંહ ગોહિલના સ્થાને હવે શૈલેષ પરમાર જવાબદારી નિભાવશે. જ્યાં સુધી નવા પ્રમુખના નામની જાહેરાત ના થાય ત્યાં સુધી દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર જવાબદારી સંભાળશે.
પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે રાજીનામું આપ્યા બાદ શક્તિસિંહ શક્તિસિંહે જણાવ્યું હતું કે 30 વર્ષથી સત્તા ના હોવા છતાં અમારા કાર્યકરો મક્કમતાથી લડ્યા છે. સારાં પરિણામો નથી આવ્યાં એની જવાબદારી સ્વીકારું છું. અને મારું રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલી આપ્યું છે.
તેમણે જણાવ્યું કે. 'પૂર્વ અને નવા નિમાયેલા શહેર અને જિલ્લા-પ્રમુખોને શુભેછાઓ પાઠવું છું' અમે જિલ્લાકક્ષાએ તમામ કાર્યકરોની વાત સાંભળી હતી. એઆઇસીસીએ તમામ સારા ઉમેદવારને સાંભળ્યા છે. એ બાદ જિલ્લા- પ્રમુખોનાં નામ પર મહોર મારવામાં આવી હતી. ગુજરાતના કાર્યકરોને નવું બળ અને જોશ મળ્યાં છે. પક્ષ કે પરિવારમાં નિર્ણયો સમયે અમુક લોકોને સમસ્યા હોઈ શકે છે. ત્રણ મહિને જિલ્લા-પ્રમુખોની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. એ બાદ કાર્યકરોને ફરી પૂછવામાં આવશે. પૂર્વ અને નવા નિમાયેલા જિલ્લા-પ્રમુખોને શુભેછાઓ પાઠવું છું. શક્તિસિંહ ગોહિલને અનુરૂપ હોય એવા જિલ્લા-પ્રમુખો નહીં, પણ પાર્ટીને અનુરૂપ હોય એવા પ્રમુખો આવ્યા છે. ભાવનગરમાં પણ જે નામ આવ્યાં એ પણ કાર્યકરોની સર્વસંમતિથી આવ્યાં હતાં.'
'હું નહોતો ઇચ્છતો કે પ્રદેશ પ્રમુખ તરીકે રાજીનામું આપું અને મને મનાવવામાં આવે. મેં મારી જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાં મોરલ રિસ્પોન્સિબિલિટીની પરંપરા રહી છે. હું કોંગ્રેસનો સિપાહી તરીકે હંમેશાં કામ કરતો રહીશ. પાર્ટી કાર્યકર્તામાંથી નેતા બનાવતી હોય છે, હવે કાર્યકર્તા તરીકે પણ કામ કરતો રહીશ. મેં બેવડા ધોરણો સાથે રાજનીતિ કરી નથી. બેમાંથી એક સીટ પણ મળી હોત તોપણ સારું લાગત.'