વડોદરામાં માણેજા વિસ્તારમાં કારની અડફેટે રોડ ક્રોસ કરતા સિક્યુરિટી ગાર્ડનું મોત
- મકરપુરા પોલીસે કારચાલક તબીબની કરી અટકાયત
- હોસ્પિટલ સામે જ એક્સિડન્ટ થયો છતાં સિક્યુરિટી ગાર્ડનો જીવ બચાવી ન શકાયો,
- અકસ્માત બાદ પણ ડોક્ટર નફ્ફટની જેમ હસતો હતો
વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં શહેરના માણેજા વિસ્તારમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. શહેરના માણેજા વિસ્તારમાં ગુરૂવારે સાંજે તબીબ એવા કારચાલક સંદીપ ખૂંટે રાહદારી સિક્યુરિટી ગાર્ડને અડફેટે લેતા 56 વર્ષીય નયનભાઈ મરાઠે નામના સિક્યુરિટી ગાર્ડનું મોત થયું છે. મકરપુરા પોલીસે તબીબ એવા કારચાલકને અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં હોસ્પિટલ સામે જ એક્સિડન્ટ થયો હોવા છતાં સિક્યુરિટી ગાર્ડનો જીવ બચાવી શકાયો નહોતો.
આ અકસ્માતના બનાવમાં મૃતકના પુત્ર જયરાજ નયનભાઈ મરાઠેએ ફરિયાદમાં નોંધાવ્યું છે કે તેઓના પિતા નયનભાઈ વામનરાવ મરાઠે (ઉંમર 56 વર્ષ) શિવાભી સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. ગઈકાલે સાંજના અંદાજે પોણા આઠ વાગ્યે તેઓ જીજી માતાના મંદિર સામેના રોડ પરથી માણેજા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન શ્રીજી હોસ્પિટલ સામેના રોડને ક્રોસ કરતી વખતે કારના ચાલકે પૂરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવી તેમને ટક્કર મારી હતી. અકસ્માત બાદ મૃતકને તાત્કાલિક શ્રીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, માથા અને હાથમાં ગંભીર ઈજાઓ તેમજ શરીરના અન્ય ભાગોમાં નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે સારવાર દરમિયાન રાત્રે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે મકરપુરા પોલીસે અકસ્માત સર્જનારા ડોક્ટર કાર ચાલકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા નયનભાઇના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલમાં પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.