મણિપુરમાં સુરક્ષાદળોએ 328 બંદૂકો, 10 ગ્રેનેડ અને 7 ડેટોનેટર સહિતના શસ્ત્રો જપ્ત કર્યાં
નવી દિલ્હીઃ મણિપુર પોલીસ અને કેન્દ્રીય અર્ધલશ્કરી દળોએ એક વિશાળ શોધખોળ કામગીરી હાથ ધરી છે અને મોટી માત્રામાં શસ્ત્રો અને વિસ્ફોટકો જપ્ત કર્યા છે. ખાસ ગુપ્ત માહિતીના આધારે, મણિપુર પોલીસ, કેન્દ્રીય અર્ધલશ્કરી દળો (સીએપીએફ), ભારતીય સેના અને આસામ રાઇફલ્સની સંયુક્ત ટીમોએ ખીણના પાંચ જિલ્લાઓની બહાર એક સાથે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ 328 શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યા હતા, જેમાં 151 એસએલઆર, 65 ઇન્સાસ રાઇફલ્સ, 73 અન્ય પ્રકારની રાઇફલ્સ, 5 કાર્બાઇન ગન, 2 એમપી-5 ગન અને ઘણા અન્ય ઘાતક શસ્ત્રોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સુરક્ષા દળોએ 10 ગ્રેનેડ, 7 ડેટોનેટર, લાથોડ બોમ્બ અને મેગેઝિન પણ જપ્ત કર્યા છે જેમાં મોટી માત્રામાં જીવંત કારતૂસ (એસએલઆર ઇન્સાસ, એકે, .303)નો સમાવેશ થાય છે.
મણિપુર પોલીસના એડીજીપીએ જણાવ્યું હતું કે, 13-14 જૂનની રાત્રે શરૂ કરાયેલા સર્ચ ઓપરેશનમાં પાંચ જિલ્લાઓના બહારના વિસ્તારોમાંથી આ શસ્ત્રો મળી આવ્યા છે. જપ્ત કરાયેલા શસ્ત્રોમાં એક એસએલઆર, પાંચ રાઇફલ, મોર્ટાર અને ફ્લેર ગન જેવા અદ્યતન ટેકનોલોજીના શસ્ત્રો અને સાધનોનો સમાવેશ થાય છે, જે આ ગુપ્ત શસ્ત્રાગારની ગંભીરતા અને ખતરનાક સ્વભાવ દર્શાવે છે.
પોલીસે આ સફળતાને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા તરફ એક મોટું પગલું ગણાવ્યું છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, તમામ સુરક્ષા એજન્સીઓ વચ્ચે મજબૂત સંકલનને કારણે આ કામગીરી સફળ રહી છે. મણિપુર પોલીસે સામાન્ય જનતાને અપીલ કરી છે કે જો ગેરકાયદેસર શસ્ત્રો સંબંધિત કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા માહિતી મળે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા કેન્દ્રીય નિયંત્રણ ખંડને જાણ કરો. પોલીસે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, ભવિષ્યમાં પણ આવી ગુપ્ત માહિતી આધારિત કામગીરી ચાલુ રહેશે, રાજ્યમાં શાંતિ સંપૂર્ણપણે પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી આ ઝુંબેશ ચાલુ રહેશે.