પુરીમાં રથયાત્રાનો બીજો દિવસઃ ભગવાન જગન્નાથ તેમની માસીના ઘરે જવા રવાના
નવી દિલ્હીઃ આજે ઓડિશાના પુરીમાં મહાપ્રભુ જગન્નાથ ઉત્સવ રથયાત્રાનો બીજો દિવસ છે. શુક્રવારે જય જગન્નાથના ઉદષોશ સાથે રથયાત્રાનો પ્રારંભ થયો. તેમાં હજારો ભક્તોએ ભાગ લીધો. ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેનોના રથને મંદિરથી શ્રી ગુંડિચા મંદિર સુધી ખેંચવાનું શરું કરાયું.
વિશ્વ પ્રખ્યાત ધાર્મિક શહેર પુરીમાં જગન્નાથ મહોત્સવ રથયાત્રાનો બીજો દિવસ છે. આ રથયાત્રા આગામી મુકામ માટે રવાના થઈ ગઈ છે. શનિવારે પરંપરા મુજબ આજે સવારે 9:30 વાગ્યે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના ત્રણ રથોને ખેંચવાનું કાર્ય ફરી શરૂ થયું.
શુક્રવારે સાંજે 4 વાગ્યે આ રથયાત્રા શરૂ થઈ. પહેલા ભગવાન બલભદ્રનો રથ ખેંચાયો, પછી સુભદ્રા અને જગન્નાથના રથ ખેંચાયા. ભક્તોની ભારે ભીડ હતી અને આ દરમિયાન કેટલાક લોકોની તબિયત બગડી ગઈ. આ કારણે રથયાત્રાને અધવચ્ચે જ રોકી દેવામાં આવી. બીજા દિવસે એટલે કે શનિવારે ભગવાન જગન્નાથની રથયાત્રા આગળ ધપાવવામાં આવી રહી છે.
આ રથયાત્રાને માત્ર ધાર્મિક ઘટના નહીં પણ શ્રદ્ધા અને ભક્તિનો મહાસાગર માનવામાં આવે છે. દર વર્ષે લાખો લોકો આ દિવસની આતુરતાથી રાહ જુએ છે, જ્યારે ભગવાન પોતે તેમના ભક્તો વચ્ચે આવે છે. આ વખતે પહેલા વર્ષની સરખામણીમાં ભક્તોની સંખ્યામાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે.
આખું શહેર ભગવાન જગન્નાથની ભક્તિમાં ડૂબી ગયું છે. રથ ખેંચાણના બીજા દિવસનો ભાગ બનવા માટે હજારો લોકો પુરીમાં ઉમટી પડ્યા છે. કાર્યક્રમ સુચારુ રીતે પાર પડે તે માટે સુરક્ષા વ્યવસ્થા અને ભીડ વ્યવસ્થાપન ગોઠવવામાં આવ્યું છે. ભક્તોમાં ઉત્સાહ ચરમસીમાએ છે અને ચારે બાજુ "જય જગન્નાથ" ના નારા ગુંજી રહ્યા છે.
ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા પુરીના ગુંડીચા મંદિર તરફ આગળ વધી રહી છે, જે ભગવાનની માસીનું ઘર માનવામાં આવે છે. દર વર્ષે ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને દેવી સુભદ્રાના રથને જગન્નાથ મંદિરથી લગભગ 2.5 કિમી દૂર ગુંડીચા મંદિર તરફ ખેંચવામાં આવે છે. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રા એક અઠવાડિયા માટે અહીં રહેશે. ભગવાન જગન્નાથ મંદિરના ગર્ભગૃહમાં સમાન ઉજવણીઓ સાથે પાછા ફરશે.