ભારત સાથે યુદ્ધ ફાટી નીકળશે તો સાઉદી અરેબિયા પાકિસ્તાનનો બચાવ કરશેઃ ખ્વાજા આસિફ
ઇસ્લામાબાદ : પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે જાહેરાત કરી છે કે, જરૂરીયાત પડશે તો પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ સાઉદી અરબને પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ નિવેદન તાજેતરમાં બંને દેશો વચ્ચે થયેલા નવા સંરક્ષણ કરાર બાદ આવ્યું છે. આ સાથે ઇસ્લામાબાદે પહેલીવાર સ્વીકાર્યું છે કે તેણે પોતાની પરમાણુ ક્ષમતાઓ સાઉદી અરબ સુધી લંબાવી છે. ખ્વાજા આસિફે જણાવ્યું હતું કે પાકિસ્તાન પાસે જે ક્ષમતાઓ છે, તે આ કરાર હેઠળ સાઉદી અરબને ઉપલબ્ધ કરાશે. સાથે જ તેમણે કહ્યું કે જો ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે તો સાઉદી અરબ પાકિસ્તાનનો બચાવ કરશે. આ કરાર અનુસાર, કોઈ એક દેશ પર હુમલો થશે તો તેને બંને દેશ પર હુમલો માનવામાં આવશે. જોકે પરમાણુ હથિયારોની ઍક્સેસ અંગે પાકિસ્તાન કે સાઉદી અરબે સત્તાવાર સ્પષ્ટતા કરી નથી.
વિશ્લેષકો માને છે કે આ પગલું ઇઝરાયલને સંદેશ આપવા માટે ભરવામાં આવ્યું છે. કારણ કે ઇઝરાયલ મધ્યપૂર્વનો એકમાત્ર એવો દેશ મનાય છે, જેના પાસે પરમાણુ હથિયારો છે. તાજેતરમાં ઇઝરાયલ દ્વારા કતારમાં હમાસના નેતાઓ પર કરવામાં આવેલા હુમલાની પૃષ્ઠભૂમિમાં આ નિવેદન આપવામાં આવ્યું છે. અમેરિકન મેગેઝિન બુલેટિન ઓફ એટોમિક સાયન્ટિસ્ટ્સ મુજબ, હાલમાં ભારત પાસે અંદાજે 172 અને પાકિસ્તાન પાસે 170 પરમાણુ હથિયારો છે. સાઉદી અરબનો પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ સાથે લાંબા સમયથી નાણાકીય સહયોગ રહ્યો છે.