બાબરી ધ્વંસ બાદ મુઝાયેલા હિન્દુ સમાજને સંઘનું માર્ગદર્શન ઉપયોગી સાબિત થયું હતું: અતુલ લિમયે
- બાળાસાહેબ દેવરસ અને રજ્જુભૈયાના સરસંઘચાલક તરીકેના કાર્યકાળમાં ભારત અનેક પ્રકારની ઘટનાઓમાંથી પસાર થઈ રહ્યું હતું
- સંઘ શતાબ્દિ નિમિત્તે યોજાઈ રહેલી વ્યાખ્યાનમળાના ત્રીજા દિવસે ગુરુવારે કવિ તુષાર શુક્લ, મંત્રી રિવાબા જાડેજા ઉપરાંત વિવિધ યુનિવર્સિટના વાઈસ ચાન્સેલરોની નોંધપાત્ર હાજરી
અમદાવાદ, 14 નવેમ્બર, 2025: 100 Years of RSS ડિસેમ્બર 1992માં બાબરી ધ્વંસ થયો ત્યારબાદ હિન્દુ સમાજ મુઝવણમાં હતો અને એ સમયે સરસંઘચાલક બાળાસાહેબ દેવરસે અનએપોલોજેટિક વલણ દાખવીને હિન્દુ સમાજને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમ સંઘના સહસરકાર્યવાહ અતુલ લિમયેએ જણાવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષ નિમિત્તે શહેરમાં ભારતીય વિચાર મંચ દ્વારા યોજાઈ રહેલી ચાર દિવસની વ્યાખ્યાનમાળાના ત્રીજા દિવસે ગુરુવારે લિમયેજીએ બાલાસાહેબ અને રજ્જુભૈયા દ્વારા સામાજિક પરિવર્તન અને સ્વીકાર્યતા પર પ્રકાશ પાડ્યો હતો.
આ પ્રસંગે લોકપ્રિય ગુજરાતી કવિ તુષાર શુક્લ ઉપરાંત શ્રીમતી રિવાબા જાડેજા, શ્રીમંત મહારાજ સમરજીતસિંહ ગાયકવાડ, પદ્મશ્રી રઘુવીરભાઈ ચૌધરી, પદ્મશ્રી કુમારપાળ ભાઈ, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ જહા, વરિષ્ઠ પત્રકાર શ્રી દીક્ષિતભાઈ સોની, શ્રી કલ્પકભાઈ કેકડે, IIT ગાંધીનગરના ડાયરેક્ટર શ્રી રજત મૂના સહિત ગુજરાતની અનેક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જેવાકે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર ડૉ. રાજુલ ગજ્જર, હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર ડૉ. પોરિયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. ઉત્પલ જોશી, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર ડૉ. ચાવડા સાહેબ, સરદાર પટેલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રી નિરંજનભાઈ પટેલ સહિત પ્રખ્યાત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જય થડેશ્વર જેવા મહાનુભાવોની નોંધપાત્ર ઉપસ્થિતિ જોવા મળી હતી.
અતુલ લિમયે જીએ જણાવ્યું કે, સમાજજીવનના વિવિધ ક્ષેત્રો, જેવા કે શિક્ષણ, સેવા, શ્રમિક, મહિલા તથા વિદ્યાર્થી સંસ્થાઓમાં સંગઠિત કાર્યનું વિશાળ વિસ્તરણ બાલાસાહેબ દેવરસજીના સમયમાં થયું હતું. ઈમરજન્સી (1975-77) દરમિયાન તેમણે લોકતંત્રના મૂલ્યોના રક્ષણ માટે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. અને એક વર્ષ પહેલા તેમણે તેમના એક ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે, દેશમાં કટોકટીની પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે એમ છે અને “રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ” પર પાબંધી લાગી શકે એમ છે. અને કટોકટીની દરમિયાન કુલ 1 લાખ 30 હજાર લોકોની ધરપકડ કરવામાં આવી જેમાંથી, જેમાં એક લાખથી વધુ સ્વયં સેવક હતા.
રામ જન્મભૂમિ આંદોલન સમયે બાળાસાહેબે વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે, હિંદુ સંસ્કૃતિનું જાગરણ આવશ્યક છે. અને જણાવ્યું હતું કે, 20-30 વર્ષ સુધી આ આંદોલન ચલાવવું પડશે, અધ વચ્ચે તેને છોડી શકાશે નહીં. ૧૯૯૫મા તેમણે હિન્દુત્વની પરિભાષા આપતા જણાવ્યું હતું કે, ભારત દેશને માતૃભૂમિ માણવા વાળો દરેક વ્યક્તિ હિંદુ છે અને શાખામાં આવી શકે છે. સાંપ્રદાયિક સમસ્યાના ઉકેલના ભાગરૂપે બાલાસાહેબે જણાવ્યું હતું કે, ભારતનો મુસ્લિમ અને ખ્રિસ્તી સમાજ બહારથી આવ્યો નથી, તેમના મૂળીયા ભારતના જ છે.
અતુલજીએ જણાવ્યું હતું કે, બાળાસાહેબને વિશ્વાસ હતો કે સંઘનું કાર્ય માત્ર શાખા પૂરતું ન રહેતા, સમાજના દરેક ક્ષેત્રમાં સક્રિય યોગદાન આપે તેવી ઇચ્છા હતી. ૧૭ જૂન ૧૯૯૬ના રોજ તેમનું અવસાન થયું. તેમનું જીવન અને કાર્યભાર સંઘના સામાજિક વિસ્તરણ અને લોકતંત્રના ચેતનાના અભ્યાસ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે.
રજ્જુભૈયાજી ૧૯૯૪માં સંઘના ચતુર્થી સરસંઘચાલક બન્યા. તેમના નેતૃત્વમાં સંઘે સમાજના વિવિધ ક્ષેત્રોમાં સંવાદ, સેવા અને રાષ્ટ્રીય એકતાના માપદંડોને વધુ મજબૂત બનાવ્યા. તેમની સરળ, સૌમ્ય અને સંવેદનાત્મક શૈલીએ સંઘને વ્યાપક સમાજ સાથે જોડવામાં વિશેષ યોગદાન આપ્યું. ૧૪ જુલાઈ ૨૦૦૩ના રોજ તેમનું અવસાન થયું. તેમનું સમગ્ર જીવન “વિદ્યા અને રાષ્ટ્ર સેવાનો સુમેળ” તરીકે પ્રેરણાદાયી ઉદાહરણ રહ્યું.
આ વ્યાખ્યાન માળામાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” ના 100 વર્ષની સફર બાબતે મલ્ટીમીડિયા શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં, “સંઘનો સ્વાતંત્ર્ય સંગ્રામમાં ફાળો અને રાષ્ટ્રજીવનમાં યોગદાન” વિષયક પ્રેરણાસ્પદ દૃશ્ય-શ્રાવ્ય માધ્યમથી માહિતી પીરસવામાં આવી હતી. આ કાર્યક્રમમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” ની સ્થાપનાથી આજદિન સુધીની યાત્રા, તેના વિચારોનો વિકાસ અને વૈશ્વિક સ્તરે સંઘની સકારાત્મક અસરને સુંદર રીતે રજૂ કરતી એક વિશેષ ફિલ્મ મુલાકાતીઓએ ખાસ નિહાળી હતી. આ ફિલ્મ દ્વારા રાષ્ટ્રનિર્માણમાં સંઘના અદૃશ્ય પરંતુ અગત્યના યોગદાનનું જીવંત દર્શન દર્શાવાયું હતું.
આ ઉપરાંત, “સંઘના શતાબ્દી સફરમાં મહત્ત્વના સ્મારકોના 3D મોડેલ” પ્રદર્શનમાં મુકાયા છે, જેમાં ડૉ. હેડગેવારનું ઘર, મોહિતેવાડા, સ્મૃતિ મંદિર, વિવેકાનંદ શીલા સ્મારક મેમોરિયલ, રામ મંદિર અને ભારત માતાનો સમાવેશ થાય છે. તેમજ, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, બાબાસાહેબ આંબેડકર, વીર સાવરકર, કનૈયાલાલ મુનશી જેવા અનેક યુગનાયકના “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” સાથેના સુમેળભર્યા સંબંધો અને વાર્તાલાપના દસ્તાવેજો જાહર જનતા માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત, “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” નું સ્વાધીનતા સંગ્રામમાં યોગદાન, સંઘની રચના અને તેના કાર્યો સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો, સંઘના સેવાકાર્યો અને રાષ્ટ્રજીવનના વિવિધ આયામોમાં સંઘકાર્ય અંગેની વિગતો સાથેના દસ્તાવેજ પ્રદર્શનીમાં દર્શનીય છે.
ચાર દિવસીય વ્યાખ્યાનમાળાના અંતિમ દિવસે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહસરકાર્યવાહ શ્રી આલોક કુમાર જી દ્વારા પાંચમાં સરસંઘચાલક પૂ. શ્રી સુદર્શનજી અને વર્તમાન સરસંઘચાલક પૂ. ડો. મોહન ભાગવતજી દ્વારા વ્યાપક સંપર્ક અને સજ્જન શક્તિની સહભાગિતા વિષય પર વિગતવાર ચર્ચા કરશે.