કચ્છના નાના રણમાં મીઠું પકવવાની સીઝનનો થયો પ્રારંભ, અગરિયાઓનું રણ તરફ પ્રયાણ
- અગરિયાઓ 8 મહિના રણમાં રહીને મીઠાં ઉત્પાદન કાર્યમાં જોડાશે,
- અગરિયા પરિવારો રણમાં ઝૂંપડા બનાવીને વસવાટ કરશે,
- આવતા વર્ષે ચોમાસાના પ્રારંભ પહેલા અગરિયાઓ પોતાના ગામ પરત ફરશે
સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા જિલ્લાના ખારાઘોડા, પાટડી, ઝીંઝુવાડા અને ધ્રાંગધ્રાના રણ વિસ્તારમાં અગરિયાઓ મીઠુ પકવવા માટે જતા હોય છે. હાલ ચોમાસાની સીઝન પૂર્ણ થતાં અગરિયાઓ મીઠું પકવવા માટે રણ તરફ પ્રયાણ કરી રહ્યા છે. અગરિયાઓ 8 મહિના રણ વિસ્તારમાં મીઠાના અગર પાસે ઝૂંપડા બાંધીને વસવાટ કરશે.
કચ્છના નાના રણમાં મીઠું પકવવાની સિઝનનો પ્રારંભ થઈ ગયો છે. સુરેન્દ્રનગર સહિત ત્રણ જિલ્લાના સીમાડે આવેલા આ રણમાં અગરિયા પરિવારો પોતાની જરૂરી સામગ્રી સાથે ફરીથી રણ તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. આ પરિવારો વર્ષના આઠ મહિના સુધી રણમાં જ વસવાટ કરે છે અને મીઠાના ઉત્પાદન કાર્યમાં જોતરાય છે. દેશમાં ઉત્પાદન થતા કુલ મીઠામાંથી 75 ટકા મીઠું કચ્છના નાના રણમાંથી આવે છે. મીઠા ઉત્પાદનના આ વ્યવસાય સાથે સંકળાયેલા અગરિયા પરિવારો વર્ષના બાર મહિનામાંથી આઠ મહિના જેટલો સમય રણમાં વિતાવે છે.ચોમાસાના ચાર મહિના દરમિયાન રણમાં વરસાદી પાણી ભરાઈ જતા દરિયા જેવો માહોલ સર્જાય છે, જેના કારણે અગરિયા પરિવારો ગ્રામ્ય વિસ્તારોમાં રહેવા માટે પરત ફરતા હોય છે.
હાલ ચોમાસાની સિઝન પૂર્ણ થતા જ અગરિયાઓ ફરીથી પોતાની ઘરવખરી લઈને રણમાં નાનું ઝૂંપડું બનાવી વસવાટ કરે છે અને મીઠા ઉત્પાદનનો વ્યવસાય શરૂ કરે છે.આધુનિક દુનિયાથી દૂર, લાઇટ, પાણી અને રોડ-રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ વગર અગરિયાઓ આઠ મહિના સુધી અહીં રણમાં જ વસવાટ કરતા હોય છે. ઉનાળાની અસહ્ય ગરમીમાં પણ તેઓ પોતાના અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે સખત મહેનત કરે છે.મીઠાની સિઝન ફરી શરૂ થતા, ધ્રાંગધ્રા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાના ચાર મહિના માટે મહેમાન બનેલા અગરિયા પરિવારો હવે ફરીથી રણ તરફ પ્રસ્થાન કરી રહ્યા છે.