અમદાવાદમાં સાબરમતી નદી સ્વચ્છતા અભિયાન, 4 દિવસમાં 251 ટન કચરાનો નિકાલ કરાયો
- સાબરમતી નદીની 5મી જુન સુધીમાં સંપૂર્ણ સફાઈ થઈ શકે તેવી સ્થિતિ નથી
- નદીમાં પ્લાસ્ટિકની થેલીઓ, કંતાનો અને બિલ્ડિંગનો વેસ્ટ સામાન બહાર કઢાયો
- નદીને સ્વચ્છ રાખવામાં શહેરીજનોમાં જાગૃતિનો અભાવ
અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદીને નર્મદાના પાણીથી ભરીને રિવરફ્રન્ટનો વિકાસ કરવામાં આવ્યો છે. નદી બેકાંઠે ભરાયેલી રહેતી હોવાથી શહેરીજનોને ફરવા માટેનું સ્થળ બની ગયુ છે. દરમિયાન નદી પરના વાસણા બેરેજના દરવાજાનું રિપેરિંગ અને ઉપરવાસમાં રેમ્પ બનાવવા માટે સાબરમતી નદીને ખાલી કરવામાં આવી છે. અને નદીમાં પાણી ખાલી થતાં પુષ્કળ પ્રમાણમાં કચરો હોવાથી નદીને સ્વચ્છ બનાવવા માટે વિવિધ સંસ્થાઓના સહયોગથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હાલ સ્વચ્છતા અભિયાન આદરવામાં આવ્યું છે. છેલ્લા 4 દિવસમાં 251 ટન કચરાનો નિકાલ કરાયો છે. નદીમાંથી પ્લાસ્ટિકની થેલીઓ, કંતાનો, ખાલી બોટલો, બિલ્ડિંગનો વેસ્ટ, વગેરે બહાર કાઢવામાં આવી રહ્યા છે. 5મી જુન સુધી નદીમાં સફાઈ ઝૂંબેશ ચાલશે. જોકે નદીમાં એટલો બધો કચરો જોવા મળી રહ્યો છે. કે, 5મી જુન સુધી નદીને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરી શકાશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીને સ્વચ્છ બનાવવા ઝૂંબેશ આદરવામાં આવી છે. નદીમાં કેટલીક જગ્યાએ ગટરનું શુદ્ધ નહીં કરેલું પાણી ઠલવાતા આજુબાજુના વિસ્તારોમાં તીવ્ર વાસ મારતી હતી. સફાઈ માટે આવેલા સ્વયંસેવકોનું કહેવું છે કે મ્યુનિ. ખુદ નદીમાં ગટરનું પાણી છોડી રહી છે. એક તરફ સફાઈ ઝુંબેશ અને બીજી તરફ ગંદું પાણી ઠલવાતું હોવાથી સફાઈનો હેતું જળવાતો નથી. રવિવારે સાબરમતીમાંથી 71 ટન કચરો બહાર કાઢવામાં આવ્યો હતો જ્યારે અત્યાર સુધી સફાઈ ઝુંબેશના ભાગરૂપે કુલ 251 ટન કચરો નદીમાંથી ઉલેચવામાં આવ્યો છે. નદીમાં જલવિહાર, શંકરભુવન અને ડફનાળા એસટીપી પ્લાન્ટમાંથી ટ્રીટ કરેલું પાણી છોડાતું હોવાનો મ્યુનિ.નો દાવો છે.
અમદાવાદ શહેરના મધ્યમાંથી પસાર થતી અને દેશની બીજા નંબરની પ્રદૂષિત સાબરમતી નદીની સાફસફાઈની કામગીરી ચાલી રહી છે. AMC દ્વારા જન ભાગીદારી થકી સાબરમતી સાફ કરાઈ રહી છે, એએમસી દ્વારા સાબરમતી નદીમાં 5 જૂન સુધી સફાઈ કરવાનો ટાર્ગેટ છે, પરંતુ એ શક્ય બને એમ લાગતું નથી. મ્યુનિના સિવેજ પ્લાન્ટ સારી રીતે કામ ન કરતા હોવાથી સાબરમતી નદી વધુ પ્રદૂષિત થાય છે. દર વર્ષે ચોમાસા પહેલાં વાસણા બેરેજના તમામ 30 દરવાજાનું ઈન્સ્પેક્શન થતું હોય છે. આ વખતે પ્રી-મોન્સૂન કામગીરીમાં વાસણા બેરેજના દરવાજાનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં જાણવા મળ્યું કે બેરેજના 15 નંબરના દરવાજામાં ખામી છે અને એ ચોમાસા પહેલાં રિપેર કરવો જરૂરી છે, જેથી સિંચાઈ વિભાગે 10 મેથી સાબરમતીનું પાણીનો સ્તર ઘટાડ્યો છે, જેના ભાગરૂપે નદીમાં પાણી ઓસરી રહ્યું છે. જેમ જેમ પાણી ખાલી થઈ રહ્યું છે તેમ તેમ સફાઈ અભિયાન આગળ વધી રહ્યું છે.