રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન 4-5 ડિસેમ્બરે ભારત આવશે
નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના ભારત પ્રવાસની તારીખો નિશ્ચિત થઈ ગઈ છે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, પુતિન 4 અને 5 ડિસેમ્બરના રોજ ભારતના ઔપચારિક પ્રવાસે આવશે. આ દરમ્યાન તેઓ 23મી ભારત–રશિયા વાર્ષિક શિખર બેઠક (Annual Summit)માં હાજરી આપશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, પુતિન 4 ડિસેમ્બરે ભારતમાં આવશે અને એ જ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ પુતિનનું સ્વાગત કરશે અને તેમના સન્માનમાં ભોજનનું આયોજન કરશે.
વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પુતિનની આ મુલાકાત ભારતીય અને રશિયન સંબંધોની વ્યાપક સમીક્ષા કરવાની તક આપશે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સહકાર, સૈન્ય & ટેક્નિકલ સહભાગિતા, વૈશ્વિક અને પ્રદેશીય મુદ્દાઓ તથા ઊર્જા અને વેપાર સંબંધો પર વિસ્તૃત ચર્ચા થવાની શક્યતા છે. ભારત અને રશિયા વચ્ચે અત્યાર સુધી 22 વાર્ષિક સમિટ યોજાઈ છે. ગયા વર્ષે જુલાઈમાં PM મોદી મોસ્કો ગયા હતા, જ્યારે પુતિન છેલ્લે 2021માં ભારત આવ્યા હતા.
પીએમ મોદી તાજેતરમાં ચીનમાં આયોજીત શંધાઈ સહયોગ સંગઠન સમ્મેલનમાં પુતિનને મળ્યાં હતા. તેમજ કહ્યું હતું કે, 140 કરોડ ભારતીય ડિસેમ્બરમાં તમારુ સ્વાગત કરવા માટે ઉત્સુક છે. ભારતમા આ બંને નેતાઓ વચ્ચે યુક્રેન યુદ્ધને લઈને ચર્ચા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ મુલાકાત ભારત-રશિયા વચ્ચેના વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત રણનીતિ ભાગીદારીને વધારે મજબુત કરશે. દુનિયાના બે શક્તિશાળી નેતાઓ વચ્ચે મળનારી આ બેઠક ઉપર દુનિયાભરની નજર મંડાયેલી રહેશે.