સુરતમાં RTO દંડની નકલી રસિદથી ટ્રાફિક બ્રાન્ચમાંથી વાહનો છોડાવવાના કૌભાંડનો પડદાફાશ
- સરથાણા પોલીસે રિક્ષાચાલકની કરી ધરપકડ
- આરોપી વાહનચાલકો પાસેથી 6000થી 10,000 રૂપિયા લેતો હતો
- મુખ્ય સત્રધાર પોલીસ પકડથી દુર
સુરતઃ શહેરમાં આરટીઓના દંડની નકલી રસીદો બનાવીને પોલીસે જપ્ત કરેલા વાહનો છોડાવવાનો કૌભાંડનો પડદાફાશ થયો છે. શહેરના સરથાણા પોલીસ દ્વારા ટ્રાફિકના ગોડાઉન પર RTO દંડની નકલી રસીદ બતાવી વાહનો છોડાવવાના રેકેટનો પડદાફાશ થયો છે. આ મામલે પોલીસે એક રિક્ષાચાલકની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી સુનિલ પંડિત હજુ ફરાર છે.
શહેરમાં ટ્રાફિક પોલીસે જ્યારે એક રિક્ષા ડિટેઇન કરી હતી ત્યારે રજીસ્ટરમાં ચાલકનું નામ અને મોબાઇલ નંબર નોંધવામાં આવ્યો હતો. જ્યારે નકલી રસીદનો મામલો સામે આવ્યો હતો. સરથાણા પોલીસે રજીસ્ટરમાં આપેલી વિગતોના આધારે આરોપીને ઝડપી પાડયો. પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે સુરત RTO દંડની ડુપ્લીકેટ રસીદ કાપોદ્રા વિસ્તારનો રિક્ષાચાલક સુનિલ પંડિત બનાવતો હતો. આરોપ છે કે સુનિલ પંડિત વાહનચાલકો પાસેથી 6,000 થી 10,000 રૂપિયા લેતો હતો અને નકલી દંડ ભરેલી રસીદ આપી તેમને ડિટેઇન થયેલું વાહન છોડાવી આપતો હતો.સુનિલ પંડિત હાલ પોલીસ પકડથી દૂર છે અને તેને ઝડપી લેવા માટે તપાસ ચાલી રહી છે.
શહેરના સરથાણા પોલીસે કાપોદ્રા વિસ્તારમાં રહેતા રિક્ષાચાલક ક્રિષ્ના મેઘસીંગ કુશ્વાહ (ઉ.વ. 21) ની ધરપકડ કરી છે. નવેમ્બર 2024માં, તે પોતાના બનેવીની રિક્ષા ભાડેથી ચલાવતો હતો અને લાઇસન્સ વિના રિક્ષા ચલાવતા પકડાયો હતો.ટ્રાફિક પોલીસે રિક્ષા ડિટેઇન કરી સરથાણા ગોડાઉનમાં મુકી દીધી હતી.વાહન છોડાવવા માટે ક્રિષ્નાએ સુનિલ પંડિત પાસે 6,000માં નકલી દંડ ભરેલી રસીદ બનાવડાવી હતી.ક્રિષ્નાએ 1,500 રૂપિયા આગલા ચુકવ્યા અને બાકીના 4,500 રૂપિયા રિક્ષા છોડાયા પછી આપવાનો વાયદો કર્યો હતો. આરોપી ક્રિષ્ના કુશ્વાહ જ્યારે ગોડાઉન પર ગયો, ત્યારે સુનિલ પંડિતે તેને આરટીઓની નકલી રસીદ આપી હતી. ક્રિષ્નાએ આ રસીદ ટ્રાફિક પોલીસને બતાવી વાહન છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. તેથી પોલીસે શંકા જતાં ક્યુઆર કોડ સ્કેન કર્યો તો કોઈ ડેટા દેખાયો નહોતો, જેથી રસીદ નકલી હોવાની શેકા જતા પોલીસે પૂછપરછ કરતા ક્રિષ્નાએ કબૂલ કર્યું કે રસીદ સુનિલ પંડિતે આપી છે અને તે ગોડાઉનની બહાર ઊભો છે.જેમ જ પોલીસને તેની હાજરી માટે બોલાવવાનું કહ્યું, ત્યારે સુનિલ પંડિત અને ક્રિષ્ના ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
સુરત પોલીસ દ્વારા મુખ્ય આરોપી સુનિલ પંડિતને પકડવા માટે તપાસ ચાલી રહી છે.આ રેકેટમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં તે જાણવા માટે પોલીસે ક્રિષ્નાને પૂછપરછ માટે રિમાન્ડ પર લીધો છે.આ કેસમાં વધુ લોકોની સંડોવણી હોવાની પણ શંકા છે, અને તપાસ દરમિયાન વધુ ખુલાસા થવાની શક્યતા છે.