ગાંધીધામમાં સામાન્ય વરસાદમાં રોડ પર પાણી ભરાયા, વાહનચાલકો પરેશાન
- મ્યુનિનો પ્રિ-મોન્સન પ્લાન સામે લોકોએ સવાલો ઉઠાવ્યા,
- સામાન્ય વરસાદમાં જનતા કોલોનીમાં બે ફુટ પાણી ભરાયા,
- કોંગ્રેસે મ્યુનિ. કમિશનરને કરી રજુઆત
ગાંધીધામઃ શહેરને મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો મળ્યા બાદ પણ નાગરિકોની સમસ્યાનો અંત આવ્યો નથી. શહેરમાં સામાન્ય વરસાદમાં રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ત્યારે શહેરના નાગરિકો મ્યુનિના પ્રિ-મોન્સુન પ્લાન સામે સવાલો ઉઠાવી રહ્યા છે.
ગાંધીધામ શહેરમાં સામાન્ય વરસાદમાં રોજ પર પાણી ભરાયા છે. જેમાં ભારતનગર, 9/B, મહેશ્વરીનગર અને જનતા કોલોની વિસ્તારોમાં સામાન્ય વરસાદથી જ 2-3 ફૂટ પાણી ભરાઈ ગયા છે. આ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થાનો અભાવ વર્ષોથી જોવા મળે છે. રવિવાર રાત્રે પડેલા સામાન્ય વરસાદમાં ભારતનગરના વિસ્તારમાં પાણી ભરાયા હતા. શહેરમાં મહેશ્વરીનગરની પાછળ આવેલી રામદેવપીર સોસાયટીમાં રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ છે. સ્થાનિક રહીશોએ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી છે. તેઓએ રસ્તાની મરામત અને પાણીના નિકાલ માટે નાળા બનાવવાની માંગ કરી છે.
દરમિયાન ગાંધીધામ શહેર કોંગ્રેસના મહામંત્રી નવીન કે. અબચુગરએ જણાવ્યું હતું કે, મહેશ્વરીનગર, ભારતનગર અને સુંદરપુરી વિસ્તારના રહીશોએ આ મુદ્દે રજૂઆત કરી છે. કોંગ્રેસ દ્વારા પણ મ્યુનિ.કમિશનરને રજુઆતો કરવામાં આવી છે. મ્યુનિ.કોર્પોરેશન માત્ર નામની જ છે અને પ્રજાને મૂળભૂત સુવિધાઓ મળતી નથી.