રાજકોટના લોકમેળામાં સરકારે જાહેર કરેલી SOP સામે રાઈડ એસોનો વિરોધ
- રાજકોટના રેસકોર્સના મેદાનમાં 14મી ઓગસ્ટથી 5 દિવસનો મેળો યોજાશે,
- ફોર્મ ઓછા ભરાતા હવે ફોર્મની તારીખ લંબાવવામાં આવે તેવી શક્યતા,
- યાંત્રિક રાઈડ માટે 32 ફોર્મ ભરાયા
રાજકોટઃ રંગીલા રાજકોટ શહેરમાં દર વર્ષે જન્માષ્ટમીનો 5 દિવસનો ભવ્ય લોકમેળો યોજાય છે. આ મેળાને મહાલવા માટે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. લોકમેળામાં કોઈ દૂર્ઘટના ન ઘટે તે માટે વિવિધ રાઈડ્સ માટે સરકારે એસઓપી બનાવી છે. એસઓપીમાં કેટલાક નિયમો એટલા અટપટ્ટા છે કે, એનો રાઈડ્સ એસો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પ્લોટ અને સ્ટોલ માટે ફોર્મ ભરવાનો આજે 13મી જૂનના છેલ્લો દિવસ છે. એટલે કેટલી ફોર્મ ભરાયા તે કાલે શનિવારે જાહેર કરાશે. અને જો ઓછા ફોર્મ ભરાયા હશે તો ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવે તેવી પણ શક્યતા છે.
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તારીખ 14 થી 18 ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે. લોકમેળામાં વિવિધ સ્ટોલ અને રાઈડ લાગતી હોય છે. ત્યારે તેના માટે પ્લોટ અને સ્ટોલના ફોર્મ ભરવાનો આજે 13 જૂન છેલ્લો દિવસ હતો. જો કે, રાઈડસ ધારકો માટે કડક SOP ને લઈને ગુજરાત મેળા એસોસિયેશન વિરોધ કરી રહ્યું છે યાંત્રિક રાઈડ માટે 32 અને અન્ય કેટેગરીના 41 ફોર્મ ગઈકાલે ઉપડ્યા હતા. આજે સાંજ સુધીમાં ફોર્મ ઉપાડવાનો અને ભરવાનો છેલ્લો દિવસ છે જો ઓછા ફોર્મ ભરાયા હશે તો ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવશે.
ગુજરાત મેળા એસોસિએશન સરકારની કડક SOP નો વિરોધ કરી રહ્યું છે ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, SOP ને લઈને કોઈ વિવાદ જ નથી. બુધવાર સુધીમાં કુલ 46 જેટલા ફોર્મ ઉપડી ગયા છે. જે લોકો સિરિયસ છે તે અમારા ટચમાં છે અને તેમને અમે ગાઈડન્સ આપીએ છીએ. તેવા લોકો ફોર્મ ભરી રહ્યા છે. આ ઉપરાંત જે લોકોને કામ કરવામાં રસ નથી અને મેળાને ખોટે રસ્તે દોરવવાનો પ્રયત્ન કરતા હોય તેવા લોકો વિરોધ કરી રહ્યા હશે બાકી ફોર્મ ઉપડી રહ્યા છે અને ભરાઈને પણ વધુ ફોર્મ આવશે તેવું અમને લાગી રહ્યું છે.
લોકમેળા માટે વિવિધ રાઈડ્સ અને સ્ટોલ માટે પુરતા ફોર્મ ભરાઈને આવશે તો તારીખ લંબાવવી નહિ પડે પરંતુ આજે ફોર્મ જમા કરાવવાનો છેલ્લો દિવસ છે ત્યારે કેટલા ફોર્મ ભરાય છે તે જોવાનું રહેશે અને ત્યારબાદ જો તારીખ લંબાવવાની જરૂર જણાશે તો તે લંબાવવામાં પણ આવશે. મહત્વની વાત એ છે કે અત્યાર સુધીમાં 73 જેટલા ફોર્મ ભરાયા છે. જે ઓછા છે, આજે સાંજ સુધીમાં કેટલા ફોર્મ ભરાઈને આવે છે. તેના પર તારીખ વધારવી કે નહીં તેનો આધાર રહેલો છે.