ગુજરાતમાં નાયબ મામલતદારોની જિલ્લાફેર બદલીઓનો મહેસુલી મંડળે કર્યો વિરોધ
- બદલીઓના તમામ હુક્મ રદ કરવા સરકારને રજુઆત
- બદલીઓ માટે કલેકટરની એનઓસી મેળવવાની પ્રથા બંધ કરવા માગ
- વર્ષ-2015ના તમામ ક્લાર્ક સંવર્ગના કર્મચારીઓને પ્રમોશન આપવું જોઈએ
ગાંધીનગરઃ ગુજરાત સરકારે તાજેતરમાં નાયબ મામલતદારોની સાગમટે બદલીઓ કરી હતી, જેમાં નાયબ મામલતદારોની માંગણી કે મંજૂરી વગર જિલ્લા ફેર બદલી કરવામાં આવતા વિરોધ ઊભો થયો છે. અને બદલીના તમામ હુકમો રદ કરવા સહિતની અન્ય માંગણીઓ સાથે રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા હડતાળની ચિમકી આપવામાં આવી છે.
રાજ્ય સરકારે નાયબ મામલતદારોની જિલ્લાફેર કરાયેલી બદલીઓ સામે વિરોધ ઊભો થયો છે. અને આ મુદ્દે મહેસુલ કર્મચારી મંડળે સરકાર સામે બાંયો ચઢાવી છે. મંડળના કહેવા મુજબ જિલ્લા ફેર બદલીની જેટલી રજૂઆતો વિભાગ ખાતે હાલ પડતર છે તેનો તાત્કાલિક નિર્ણય કરવો અને ત્યારબાદ જિલ્લા ફેર બદલીની નવી અરજીઓ માટે ઓનલાઈન પ્લેટફોર્મ સિસ્ટમનો ઉપયોગ કરી કલેક્ટરનું એનઓસી મેળવવાની પ્રથા બંધ કરી પારદર્શક રીતે જિલ્લા બદલીની અરજીઓનો તે જ વર્ષમાં નિકાલ કરવાની પ્રથા અમલમાં મૂકવી જોઈએ.
મહેસુલ કર્મચારી મંડળે માગણી કરી છે કે, વર્ષ-2015ના તમામ ક્લાર્ક સંવર્ગના કર્મચારીઓને પ્રમોશન આપવું જોઈએ તેમજ વર્ષ-2012ના નાયબ મામલતદારોની સિનિયોરિટીની યાદી ડીમ્ડ ડેટના લાભ સાથે પ્રસિધ્ધ કરીને મામલતદારના પ્રમોશન આપવા જોઈએ. આ માંગણીઓ માટે તમામ જિલ્લામાં કલેક્ટરોને મહેસૂલી કર્મચારીઓ આવેદન આપ્યું હતું તે અંતર્ગત વડોદરામાં પણ મહેસૂલી કર્મચારીઓએ સવારે આવેદન આપી પોતાની રજૂઆતો કરી હતી. 10 દિવસમાં માંગણીઓને હકારાત્મક નિકાલ નહી આવે તો કાળી પટ્ટી ધારણ કરવી, માસ સીએલ અને હડતાળ જેવા કાર્યક્રમોનો તબક્કાવાર અમલ કરવામાં આવશે.