સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં હવે નિવૃત શિક્ષકોની કામચલાઉ ભરતી કરાશે
- જ્ઞાન સહાયકોની નિમણૂક બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર વચગાળાની ભરતી કરાશે,
- જ્ઞાન સહાયકને ચૂકવાતા માનદ વેતન જેટલું વેતન ચૂકવાશે,
- નિવૃત્ત શિક્ષકોની વય 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
અમદાવાદઃ ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની ભરતી બાદ ખાલી રહેતી જગ્યાઓ પર નિવૃત શિક્ષકોની સેવા લેવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. શિક્ષકોની ખાલી જગ્યાને લીધે બાળકોનું શિક્ષણ બગડે નહીં તે માટે કામચાલાઉ પુરતો આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
શિક્ષણ વિભાગના સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યા પર હવે નિવૃત્ત શિક્ષકો સેવા લેવામાં આવશે. શિક્ષકોની કાયમી ભરતી અને જ્ઞાન સહાયકની નિમણૂંક બાદ ખાલી જગ્યાઓ પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરાશે. ધોરણ. 9થી 12માં શિક્ષકોની ઘટ નિવારવા વચગાળાની વ્યવસ્થા કરવામાં આવી છે. નિવૃત્ત શિક્ષકોની વય 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ. નિવૃત શિક્ષકોને જ્ઞાન સહાયકને ચૂકવાતા માનદ વેતન જેટલું વેતન ચૂકવાશે.
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાની બાબતને મંત્રી (પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ) એ મંજૂરી આપી છે.
સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોને શરતો / પ્રક્રિયાને આધિન કામગીરી સોંપવાની રહેશે.જેમાં રાજયની સરકારી અને ગ્રાટેક માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિવૃત્તિથી ખાલી પડતી જગ્યાઓની ઘટ તાત્કાલિક નિવારવા દર વર્ષે 31 જુલાઈની સ્થિતિએ મંજૂર કરવામાં આવેલ મહેકમ મુજબ માાળામાં ખાલી પડેલ જગ્યાઓ પર વિભાગના તા.11/07/2025ના ઠરાવથી સુધારેલ કાર્ય પદ્ધતિ અનુસરીને જ્ઞાન સહાયકને કામગીરી સોંપેલ હોય ત્યાર પછી પણ જગ્યાઓ ખાલી રહે તો આવી ખાલી રહેતી જગ્યાઓ પર કામચલાઉ વ્યવસ્થાના ભાગરૂપે નિવૃત્ત થયેલા સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના નિવૃત શિક્ષકોને શૈક્ષણિક કામગીરી સોંપી શકાશે. નિવૃત્તી બાદ લેવામાં આવતા શિક્ષકોની મહત્તમ વય મર્યાદા ૬૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ. શાળામાં બદલીથી કે ભરતીથી કાયમી શિક્ષકની નિમણૂક ન થાય કે જ્ઞાન સહાયકની નિમણૂક ન થાય ત્યાં સુધી આવા નિવૃત્ત શિક્ષકોએ કામગીરી કરવાની રહેશે. શૈક્ષણિક વર્ષના અંતે આવા નિવૃત્ત શિક્ષકોને છુટા કરવાના રહેશે. આ કામગીરી માટે નિવૃત્ત માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શિક્ષકને જ્ઞાન સહાયકને ચુકવવામાં આવતાં માનદ વેતન જેટલુંજ માનદ વૈતન ચુકવવાનું રહેશે. તે સિવાય અન્ય કોઈ વધારાના નાણાકીય કે સેવાકીય લાભ મળવાપાત્ર થશે નહીં.
જે નિવૃત્ત સરકારી અને ગ્રાંટેડ માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો નિવૃત્તિ બાદ કામગીરી કરવા માંગતા હોય તેઓએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને અરજી કરવાની રહેશે વેઈટીંગ લિસ્ટ મુજબ પણ જ્ઞાનસહાયક ઉપલબ્ધ થાય નહી તો જ નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાની રહેશે.