માણસામાં વોર્ડ નંબર 4માં બે દિવસથી પાણી વિતરણ ન કરતા રહિશો મુશ્કેલીમાં મુકાયા
- નગરપાલિકા દ્વારા ટેન્કરથી પાણી ન અપાતા સ્થાનિક રહિશોમાં રોષ,
- નગરપાલિકાના સત્તાધિશોએ પાઇપલાઇનમાં લીકેજ હોવાનું કહી હાથ ઊંચા કરી દીધા,
- ચીફ ઓફિસર પણ ફક્ત આશ્વાસન આપે છે કે પાણી છોડવામાં આવશે,
ગાંધીનગરઃ જિલ્લાના માણસા શહેરના વોર્ડ નંબર 4માં છેલ્લા બે દિવસથી નગરપાલિકા દ્વારા પાણીનું વિતરણ ન કરાતા સ્થાનિક રહિશો ત્રાહીમામ પોકારી ગયા છે. સ્થાનિક રહિશો પોતાના ખર્ચે ટેન્કર મંગાવીને પાણી મેળવી રહ્યા છે. પાણી પુરવઠો ક્યારે અપાશે તે અંગે નગરપાલિકાના સત્તાધિશો સંતોષકારક જવાબો આપતા નથી. અને પાઈપલાઈન લિકેજ છે. તેવુ કહી રહ્યા છે.
માણસા નગરપાલિકામાં વોર્ડ નંબર-4માં છેલ્લા બે દિવસથી પાણીનું વિતરણ ન થતા સ્થાનિક રહિશો પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વોર્ડ નંબર-4માં નગરપાલિકા ટેન્કરથી પણ પાણી પહોંચાડી શક્યું નથી, જો આ બાબતે પૂછવામાં આવે તો પાઇપલાઇનમાં લીકેજ હોવાનું જણાવી હાથ ઊંચા કરી દે છે. શહેરીજનોને સતત બે દિવસ સુધી પાણી ન મળતા હાલત કફોડી છે.
માણસા શહેરમાં રોડ રસ્તાની હાલત અત્યંત ખરાબ છે, પાણી અને ગટરની પાઇપલાઇનનું કામ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યું છે. જેનો ભોગ શહેરીજનો બની રહ્યા છે. આ કામકાજ દરમિયાન પાણીની લાઈનો તૂટવાના પ્રશ્નો પણ ઊભા થયા છે. ત્યારે વોર્ડ નંબર 4માં છેલ્લા બે દિવસથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી આપવામાં આવતું નથી. જેના કારણે આ વિસ્તારમાં રહેતા લોકો ભારે તકલીફ વેઠી રહ્યા છે. વોર્ડ નંબર 4માં તખતપુરા,રાવળ વાસ,કપૂરી ચોક,મસ્જિદ ચોક, અભેસિંહજીનો માઢ, ભવાનસિંહની હવેલી, મોતીસિંહનો માઢ,પ્રજાપતિ વાસ આ બધા વિસ્તારો આવેલા છે. જો પાઇપલાઇનમાં લીકેજ થયું હોય તો એકાદ દિવસ શહેરીજનો ચલાવી લે, પરંતુ સતત બે દિવસ સુધી પાણી ન મળે ત્યારે ઘણી તકલીફ પડતી હોય છે. પરંતુ નગરપાલિકાના સત્તાધીશો ને આ બાબત સામાન્ય લાગે છે અને આને પણ તે વિકાસ ગણી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. ચીફ ઓફિસર પણ ફક્ત આશ્વાસન આપે છે કે પાણી છોડવામાં આવશે. શહેરીજનો એડવાન્સમાં વેરો ચુકવે છે તેમ છતાં નગરપાલિકા પ્રાથમિક જરૂરિયાત એવું પાણી પણ આપી શકતી નથી.