સુરેન્દ્રનગરમાં 8 જેટલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા રહિશો મુશ્કેલીમાં મુકાયા
- વરસાદના સાથે ગટરના પાણી પણ રસ્તાઓ પર ફરી વળ્યા,
- 200થી વધુ મહિલાઓએ રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો,
- મ્યુનિ.કોર્પોરેશનમાં રજુઆત છતાંયે કોઈ પગાલાં લેવાતા નથી
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં સારોએવો વરસાદ પડતા જનજીવનને અસર થઈ છે. જેમાં સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને લીધે 8 જેટલી સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ સોસાયટીઓમાં વરસાદના પાણી સાથે બેક મારતી ગટરોના પાણી પણ ભળી જતાં રોગચાળો વકરવાનો પણ ભય છે. શહેરની નગરપાલિકાનું મહાનગરપાલિકામાં વિભાજન થયા છતાંયે લોકોના પ્રશ્નો ઠેરના ઠેર છે.વરસાદી અને ગટરના પાણીના ભરાવાથી અનેક સોસાયટીઓની સ્થિતિ કફોડી બની છે. પટેલ સોસાયટી એક અને બે, જીવન લક્ષ્મી, રાધેકૃષ્ણ, માનવ મંદિર, ઇલાઇટ હોમ, સાઇ રેસીડેન્ટી અને શીવ શિખર સહિત અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે.
સુરેન્દ્રનગરમાં વરસાદને લીધે અનેક સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મ્યુનિના વોર્ડ નંબર 5 માનવ મંદિર પાછળના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે 200થી વધુ મહિલાઓએ રસ્તા પર આવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. શહેરના આજુબાજુના પાંચ ગામને જોડતો રસ્તો પણ તળાવ જેવો બની ગયો છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે બાળકોને શાળાએ જવા માટે પાણીમાંથી પસાર થવું પડે છે. બીમાર દર્દીઓ માટે 108 એમ્બ્યુલન્સની અવરજવર પણ મુશ્કેલ બની છે. અનેક બાળકો અને વૃદ્ધો પાણીમાં પડવાથી ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક રહીશો અને મહિલાઓએ અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. તેમણે લાગતા વળગતા તંત્ર પાસે તાત્કાલિક યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સર્વત્ર વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લાના વઢવાણ અને ચુડા તાલુકામાં સૌથી વધુ 84 મીમી વરસાદ નોંધાયો હતો. ધ્રાંગધ્રા તાલુકામાં 75 મીમી વરસાદ પડ્યો છે. દસાડામાં 45 મીમી અને લીંબડીમાં 37 મીમી વરસાદ નોંધાયો છે.