મહારાષ્ટ્રના ધાર્મિક સ્થળો બન્યાં લાઈડસ્પીકર ફ્રી, 3367 લાઈડસ્પીકર દૂર કરાયાં
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગૃહમાં ભાજપના ધારાસભ્ય સુધીર મુનગંટીવારના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, ધ્વનિ પ્રદૂષણને કાબુમાં લેવાના સંકલિત પ્રયાસના ભાગ રૂપે, મહારાષ્ટ્રના તમામ ધાર્મિક સ્થળો પરથી કુલ 3,367 લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા છે. આમાં મંદિરો, મસ્જિદો, ચર્ચ, ગુરુદ્વારા વગેરેનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં હવે એક પણ લાઉડસ્પીકર નથી. હકીકતમાં, ભાજપના ધારાસભ્ય સુધીર મુનગંટીવારે રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણને કારણે વન્યજીવોને થતી સમસ્યાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ ગૃહને જણાવ્યું કે, મુંબઈ પોલીસ ફક્ત મુંબઈમાં જ પૂજા સ્થળો પરથી 1,608 લાઉડસ્પીકર દૂર કરવામાં સફળ રહી છે, અને આ સિદ્ધિ કોઈપણ ધાર્મિક કે સાંપ્રદાયિક તણાવ વિના પ્રાપ્ત થઈ છે. તેમણે કહ્યું કે, હવે મુંબઈના કોઈપણ ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર લગાવવામાં આવશે નહીં. દેવેન્દ્ર ફડણવીસે પોલીસને ચેતવણી આપતા કહ્યું કે જો અધિકારીઓની પરવાનગી વિના કોઈપણ ધાર્મિક સ્થળે ફરીથી લાઉડસ્પીકર લગાવવામાં આવશે, તો તેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીની રહેશે.
ભાજપના નેતા સુધીરના પ્રશ્નોના જવાબ આપતાં, મુખ્યમંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં મહારાષ્ટ્રના 3367 ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા છે. મુંબઈમાં 1608 ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા છે, જેમાં 1149 મસ્જિદો, 48 મંદિરો, 10 ચર્ચ, 4 ગુરુદ્વારા અને 147 અન્ય સ્થળોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે હાલમાં મુંબઈમાં કોઈપણ ધાર્મિક સ્થળ પર લાઉડસ્પીકર નથી.