રાજકોટ એસટી વિભાગે ઉનાળા વેકેશનમાં એક્સ્ટ્રા બસો દોડાવીને 20 કરોડની આવક કરી
- રાજકોટ એસટી વિભાગે કુલ 58000 ટ્રીપ દોડાવી. 97 લાખ પ્રવાસીઓએ મુસાફરી કરી
- ગત વર્ષ કરતા 30000 પ્રવાસીઓ વધ્યા તો આવકમાં 14 લાખનો વધારો
- રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાંથી જતી એસટી બસોમાં પ્રવાસીઓની ભીડ રહી
રાજકોટઃ ઉનાળાના વેકેશન દરમિયાન રાજકોટ એસટી ડિવિઝન દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. તેમજ નિયમિત દોડતી રૂટની બસોમાં પણ સોરોએવો પ્રવાસી ટ્રાફિક રહ્યો હતો જેના લીધે રાજકોટ ડિવિઝનને રૂ. 20.45 કરોડની આવક થઈ છે. રાજકોટ એસટી વિભાગ દ્વારા કુલ 58000 ટ્રીપ દોડાવવામાં આવી હતી, જેમાં પોણા બે માસમાં જ 33.97 લાખ મુસાફરોએ મુસાફરી કરી છે. જે ગત વર્ષની તુલનાએ 30,000 વધુ છે. જ્યારે ઉનાળુ વેકેશનની આવક જે ગત વર્ષે રૂ. 20.31 કરોડ હતી, જેમાં આ વર્ષે 14 લાખનો વધારો થયો છે.
રાજકોટ એસટી ડિવિઝન દ્વારા ઉનાળુ વેકેશનના ટ્રાફિકને પહોંચી વળવા માટે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેને સારોએવો પ્રતિસાદ મળ્યો છે. વેકેશન દરમિયાન રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી લોકો હરવા ફરવા માટે સસ્તી અને સલામત ગણાતી એસટી બસની સવારી કરે છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, દ્વારકા, સોમનાથ, ભાવનગર, ભુજ અને અમરેલી રૂટ પર પ્રવાસીઓનો વધુ ધસારો રહ્યો હતો. ઉનાળુ વેકેશન રાજકોટ એસટી વિભાગની દૈનિક આવક પણ રૂ. 60 લાખથી વધી રૂ.70 લાખ થઈ ગઈ છે.
રાજકોટ એસટી વિભાગના વિભાગીય નિયામક જે. બી. કલોતરાએ જણાવ્યું હતું કે, ઉનાળુ વેકેશન દરમિયાન પ્રવાસીઓની એક જગ્યાએથી બીજી જગ્યાએ અવર-જવર વધુ રહેતી હોય છે, જેને ધ્યાને લઈ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યુ હતુ. વર્ષ 2024ની તૂલનામાં 2025માં આવકમાં રૂ. 13 લાખથી વધુનો વધારો થયો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 30,000 મુસાફરોએ વધુ મુસાફરી કરી છે. આ ઉપરાંત 58000 ટ્રીપોનું સંચાલન થયું છે. રાજકોટથી અમદાવાદ, સુરત, વડોદરા, અમરેલી, ભાવનગર તરફ ઉપરાંત દ્વારકા અને સોમનાથ તરફ એકસ્ટ્રા બસોનુ સંચાલન કરવામાં આવ્યુ છે. રાજકોટ એસટી ડિવિઝનના અલગ-અલગ ડેપો પરથી 60 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવેલી છે. ઉનાળુ વેકેશન દરમિયાન વર્ષ 2024માં એસટી વિભાગને કુલ આવક રૂ. 20.31 કરોડ જેટલી થઈ હતી. તો તેની સામે વર્ષ 2025માં 20.45 કરોડ જેટલી આવક થઈ છે.
રાજકોટ એસટી વિભાગ હેઠળ રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લો આવે છે. જ્યાં દરરોજ 550 જેટલી બસો દોડાવવામાં આવે છે. આ દરમિયાન રાજકોટ એસટી વિભાગ દ્વારા ઉનાળાના વેકેશનમાં 60 એક્સ્ટ્રા બસોનું પણ સંચાલન કરવામાં આવ્યુ હતું. જેના થકી ગત વર્ષની તુલનામાં આ વર્ષે કમાણીમાં રૂ. 13.70 લાખનો વધારો થયો છે. 5 એપ્રિલથી 25 મે, 2025 દરમિયાન ગત વર્ષે 33.67 લાખ પ્રવાસીઓએ મુસાફરી કરી હતી, જેની સામે આ વર્ષે 33.97 લાખ પ્રવાસીઓએ મુસાફરી કરી છે. એટલે કે, યાત્રીઓની સંખ્યામાં પણ રૂ. 30,000નો વધારો થયો છે. હાલ ઉનાળાના વેકેશનમાં મુસાફરો સસ્તી અને સલામત સવારી ગણાતી એસટી બસની મુસાફરી કરી રહ્યા છે અને તેથી વેકેશનમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરથી જતી એસટી બસમાં મુસાફરોની ભીડ જોવા મળી રહી છે.