બનાસકાંઠામાં વરસાદી માહોલ, રતનપુરમાં રામેશ્વર મંદિર પર વીજળી પડી
- રતનપુર ગામે મંદિર પર વીજળી પડતા શિવલિંગ સુરક્ષિત,
- જલધારાના પથ્થરો 200 ફુટ દૂર ઊડ્યા,
- યાત્રાધામ અંબાજીમાં પડ્યો ધોધમાર વરસાદ
પાલનપુરઃ બનાસકાંઠામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોસ જામ્યો છે. ત્યારે પાલનપુર શહેર નજીક આવેલા રતનપુર ગામમાં રામેશ્વર મહાદેવ મંદિર પર વીજળી પડી હતી. કડાકા-ભડાકા સાથે મંદિર પર પડેલી વીજળીના કારણે જલધારાના પથ્થરો 200 ફૂટ દૂર સુધી ઊડી ગયા હતા. જો કે, શિવલિંગને કોઈ નુકસાન થયું નથી.
હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લા માટે ભારે વરસાદની આગાહી કરી છે. જિલ્લાના અમીરગઢ અને ઈકબાલગઢ પંથકમાં વરસાદી ઝાપટાં નોંધાયા છે. જિલ્લામાં વરસાદી માહોસ જામ્યો છે. ત્યારે રતનપર ગામના મહાદેવજીના મંદિર પર વીજળી પડી હતી. જોકે શિવલિંગને કોઈ જ નુકાસ થયુ નથી. મંદિરમાં પાણી ચઢાવવા માટેની ડોલને નુકસાન થયું છે. મંદિરની બાજુમાં આવેલી શાળાના બાળકો વીજળી પડવાના માત્ર પાંચ મિનિટ પહેલા જ ત્યાંથી પસાર થયા હતા, જેથી મોટી દુર્ઘટના ટળી હતી. વીજળી પડવાથી મંદિરની આજુબાજુના વિસ્તારમાં રહેલા ઉપકરણોને પણ નુકસાન પહોંચ્યું છે. આ ઘટનામાં કોઈ જાનહાની ન થતાં ગ્રામજનોએ શિવજીનો આભાર માન્યો છે. સ્થાનિક લોકોએ આ ઘટનાને ચમત્કાર ગણાવ્યો છે કે શિવલિંગ પર સીધી વીજળી પડવા છતાં તેને કોઈ નુકસાન થયું નથી.
બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહીને પગલે સ્થાનિક વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. નાગરિકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા જણાવવામાં આવ્યું છે. ખેડૂતોને પણ પોતાના પાકનું રક્ષણ કરવા માટે જરૂરી પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે વહેલી સવારથી મેઘરાજાએ પધરામણી કરી છે. અંબાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. વરસાદની આ મહેરથી અંબાજીના બજાર વિસ્તારોમાં પાણી વહેતા થયા છે.