ગુજરાતમાં આજે બપોર સુધીમાં 176 તાલુકામાં પડ્યો વરસાદ, બોટાદમાં ઈકો તણાતા 4 લાપત્તા
- ઈકો કારમાં 6 લોકો તણાયા હતા જેમાં 2 નું રેસ્ક્યૂ કરાયું,
- રાજુલા નજીક અને બાબરાના કુંડળ ગામે કાર તણાવાના બે બનાવમાં બે લોકોના મોત,
- દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 176 તાલુકામાં વરસાદ પડ્યો હતો.જેમાં બોટાદના બરવાળામાં 7 ઈંચ, સુરેન્દ્રનગરના સાયલામાં 6 ઈંચ, મુળીમાં 5 ઈંચ, ઉમરાળામાં 4 ઈંચથી વધુ, બોટાદમાં 4 ઈંચ, ચુડા અને રાણપુરમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. અન્ય તાલકાઓમાં વરસાદના ઝાપટાથી લઈને બે ઈંચ વરસાદ પડ્યો છે.આજે જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડવાની શક્યતાને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગરનો શેત્રુજી ડેમ ઓવરફ્લો થતા 59 દરવાજા ખોલાયા છે.
હવામાન વિભાગ દ્વારા 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બપોર સુધીમાં 151 તાલુકામાં વરસાદ પડ્યો હતો.જેમાં બોટાદના બરવાળામાં 7 ઈંચ, સુરેન્દ્રનગરના સાયલામાં 6 ઈંચ, મુળીમાં 5 ઈંચ, ઉમરાળામાં 4 ઈંચથી વધુ, બોટાદમાં 4 ઈંચ, ચુડા અને રાણપુરમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે બોટાદના લાઠીદડમાં ઈકો કાર તણાઈ જતા છ લોકો લાપતા બનતા તેમની શોધખોળ કરાઇ રહી છે. ઈકો કારમાં 6 લોકો તણાયા હતા જેમાં 2 નું રેસ્ક્યૂ કરાયું છે. જ્યારે રાજુલાના ઉટિયા-રાજપરડા વચ્ચે અને બાબરાના કુંડળ ગામે બે અલગ-અલગ જગ્યાએ કાર તણાવાના બે બનાવમાં બે લોકોના મોત થયા છે.
નડિયાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મંગળવાર વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જોકે આ પહેલા ગતરોજ સાંજથી વરસાદી વાતાવરણ સર્જાયુ હતું પરંતુ છુટાછવાયા સામાન્ય ઝાપટાં પડ્યા છે. જિલ્લાના કપડવંજ પંથકમાં પણ સારો વરસાદ વરસ્યો છે. આજે સવારથી જ નડિયાદ અને તેની આસપાસના ગામોમાં અને વસો, ઠાસરા, કપડવંજ સહિતના તાલુકાઓમાં છુટોછવાયો ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
સુરેન્દ્રનગરના ચોટીલામાં ગત રાતથી સવાર સુધી 15 કલાકમાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. નવા નીર આવતા ચોટીલામાં જલારામ મંદિર સામે આવેલું એરૂડેશ્વર તળાવ પણ પાણીથી છલોછલ ભરાઈ ગયું. આ દરમિયાન તળાવ વચ્ચે એક આધેડ ફસાઈ જતા સહુ ચિંતામાં મુકાઈ ગયા હતા. 57 વર્ષીય કાળુભાઈ સાયલા રાત્રિના સમયે તળાવ વચ્ચે આવેલા મંદિરમાં સૂઈ ગયા હતાં અને રાતભર પડેલા વરસાદ પછી તળાવમાં પાણી ભરાઈ જતા તેઓ ફસાઈ ગયા હતા. જે અંગે જાણ કરાતા ચોટીલા ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત કરીને તેમને બહાર કાઢવામાં આવ્યા હતા.
સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ પૈકી બીજા ક્રમનો શેત્રુંજી ડેમ પાલીતાણા તાલુકામાં આવેલો છે, ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલ શેત્રુંજી ડેમમાં સતત પાણીની આવક ઠલવાઇ રહી છે, ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા 59 દરવાજા ખોલાયા છે. શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી 95660 ક્યુસેક પાણીની આવક શરૂ છે. ઉપરવાસમાંથી આવી રહેલા અવિરત પ્રવાહને કારણે શેત્રુંજી ડેમ હેઠળના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માઈધાર, મેંઢા તથા ભાવનગર તાલુકાના ભેગાળી, દાંત્રડ,પીંગળી, ટીમાણા, શેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા તથા સરતાનપર સહિતના ગામના લોકોને સાવધાન રહેવા જણાવાયું છે.