ગુજરાતમાં આજે સવારથી બપોર સુધીમાં 124 તાલુકામાં પડ્યો વરસાદ, જેસરમાં 9 ઈંચ
- પાલીતાણા અને મહુવામાં 7 ઈંચ,
- 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી,
- હારીજના સાકરા ગામે વીજળી પડતા બે પશુના મોત
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનું વાજતે ગાજતે આગમન થઈ ગયું છે. છેલ્લા બે દિવસથી બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. આજે બપોરના 4 વાગ્યા સુધીમાં રાજ્યમાં 124 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ભાવનગરના જેસરમાં 9 ઈંચથી વધુ વરસાદ પડતા આખો યે વિસ્તાર જળ બંબોળ બન્યો છે. પાલિતાણા અને મહુવામાં 7 ઈંચ, તળાજામાં સાડા ત્રણ ઈંચ, વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ગારિયાધાર, સિહોર, રાજુલા, સાવરકૂંડલા, જેતપુર, જુનાગઢ, ઉંરમગામ, ઊના સહિત 101 તાલુકામાં વરસાદ પડ્યો છે. દરમિયાન રાજ્યના હવામાન વિભાગે આજથી 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે સત્તાવાર ચોમાસાની જાહેરાત કરી છે. ગુજરાતમાં આગામી 24 કલાકમાં ચોમાસું સક્રિય થઈ જશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે માહિતી આપતા કહ્યું કે, ગુજરાતમાં ચોમાસાંનું આગમન થયું છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનમાં કારણે વરસાદની આગાહી છે. 24 કલાકમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશ લો પ્રેશર બનશે. લો પ્રેશર વૉલમાર્ટ લો પ્રેશરમાં પરિવર્તિત થશે. રાજ્યમાં આજે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે. આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. સુરત, નવસારી, વલસાડ, અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું રેડ અલર્ટ અપાયું છે. સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. છોટાઉદેપુરની અશ્વિન નદી બે કાંઠે થઇ છે, જ્યારે બનાસકાંઠા જિલ્લાના કેટલાક તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે.
હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે આગામી 20 જૂન સુધી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. નૈઋત્ય ચોમાસું સમય કરતાં વહેલા મહારાષ્ટ્ર પહોંચી ગયું હતું, જોકે બાદમાં ચોમાસું નિષ્ક્રિય થઇ ગયું હતું. જ્યારે છેલ્લા ત્રણ-ચાર દિવસથી અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બનતાં ચોમાસું સક્રિય થયું છે.
બનાસકાંઠા જિલ્લામાં મધરાતથી વરસાદી માહોલ છવાયો છે. વહેલી સવારે ધાનેરામાં ધોધમાર વરસાદ શરૂ થતાં રસ્તા પર પાણી ભરાઇ ગયા છે. જેને લઇને સ્થાનિકો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હારીજ તાલુકાના સાંકરા ગામમાં પશુપાલક ધનાજી રતાજી ઠાકોરની બે ગર્ભવતી ભેંસો પર વીજળી પડતાં તેમનું મોત નિપજ્યું. છોટા ઉદેપુર જિલ્લામાં પણ બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે કવાંટ અને નસવાડી તાલુકામાંથી પસાર થતી અશ્વિન નદીમાં પુર આવ્યા છે. અશ્વિન નદીમાં પુર આવતા નદી બે કાંઠે વહી રહી છે.