ઈઝરાયલ-હમાસ વચ્ચે શાંતિ સમજુતી વચ્ચે રફા બોર્ડર બંધ કરાઈ
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂની સરકારે ગાઝા અને ઇજિપ્તને જોડતા એકમાત્ર ખુલ્લા માર્ગ રફા બોર્ડર ક્રોસિંગને ‘આગામી આદેશ સુધી બંધ’ રાખવાનો આદેશ આપ્યો છે. આ બોર્ડર જ તે માર્ગ છે જેના મારફતે અત્યાર સુધી ગાઝા પટ્ટીમાં માનવીય મદદ અને નાગરિકોની અવરજવર શક્ય બની રહી હતી. ઇઝરાયેલે આ નિર્ણયને હમાસ દ્વારા બંદી બનેલાઓના મૃતદેહો પાછા ન આપવાને સીધા રીતે જોડ્યો છે.
ઇઝરાયેલી પ્રધાનમંત્રી કાર્યાલયે નિવેદનમાં જણાવ્યું છે કે, “જ્યાં સુધી હમાસ સમજૂતી મુજબ તમામ મૃતદેહો પાછા આપતું નથી, ત્યાં સુધી રફા બોર્ડર નહીં ખોલવામાં આવે.” અત્યાર સુધી હમાસે બે બંદી બનેલાઓના મૃતદેહો રેડ ક્રોસ મારફતે ઇઝરાયેલને પરત આપ્યા છે.
એક સમાચાર એજન્સી મુજબ, છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઇઝરાયેલે યુદ્ધવિરામ સમજૂતીનું 47 વખત ઉલ્લંઘન કર્યું છે. આ હુમલાઓમાં 38 લોકોના મોત થયા છે અને 143 લોકો ઘાયલ થયા છે. ઓક્ટોબર 2023થી અત્યાર સુધી ગાઝામાં કુલ 68,116 લોકોના મોત થયા છે અને 1,70,200થી વધુ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, 7 ઓક્ટોબર 2023ના હમાસના હુમલામાં ઇઝરાયેલમાં 1,139 લોકોના મોત થયા હતા અને લગભગ 200 લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું.
રફા બોર્ડર બંધ થવાથી ગાઝાના નાગરિકો માટે રાહત અને વતન પરત ફરવાની યોજનાઓ પર ગંભીર અસર પડશે. અગાઉ ઇજિપ્તમાં આવેલા પેલેસ્ટિનિયન દૂતાવાસે 20 ઑક્ટોબરે રફા બોર્ડર ફરી ખોલવાની જાહેરાત કરી હતી, જેથી ઇજિપ્તમાં રહેલા પેલેસ્ટિનિયન નાગરિકો ગાઝા પરત જઈ શકે.
દરમિયાન હમાસે નેતન્યાહૂ સરકાર પર ‘નબળા બહાના બનાવી સમજૂતી તોડવાનો’ આરોપ લગાવ્યો છે. બીજી બાજુ, તેલ અવિવમાં નાગરિકોએ પોતાના પ્રિયજનોના અવશેષોને પાછા લાવવાની માંગ સાથે રસ્તા પર ઉતરીને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.