રાજ્યના ૭૦,૦૦૦ ખેડૂતો પાસેથી રૂ. ૧,૧૭૭ કરોડના મૂલ્યની ૧.૬૨ લાખ મે. ટન મગફળીની ખરીદી
- રૂ. ૧૦,૦૦૦ કરોડના કૃષિ રાહત પેકેજ અંતર્ગત સહાય મેળવવા આજસુધીમાં ૧૦ લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
- સપ્ટેમ્બર-૨૦૨૫ના કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા પણ પાંચ અસરગ્રસ્ત જિલ્લાના ૧.૨૫ લાખ ખેડૂતોએ અરજી કરી
ગાંધીનગર, 20 નવેમ્બર, 2025ઃ groundnut from 70000 farmers of the state Purchased ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હોવાની માહિતી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી હતી. ગઈકાલે બુધવારે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ચાલી રહેલી ટેકાના ભાવે મહફળીની ખરીદી તેમજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા બે કૃષિ રાહત પેકેજ સંદર્ભે ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી.
આ સંદર્ભે મીડિયાને માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યના ૭૦,૦૦૦થી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૧,૧૭૭ કરોડથી વધુના મૂલ્યની કુલ ૧.૬૨ લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી કરવામાં આવી છે. સાથે જ ખેડૂતોને મગફળી ખરીદીના ચૂકવણા પણ સીધા તેમના બેંક ખાતામાં જમા કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે ચાલુ વર્ષે રાજ્યના ૯.૩૧ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે, જે ગત વર્ષે થયેલી નોંધણીની અઢી ગણી વધારે છે. ચાલુ વર્ષે મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને લઇને મુખ્યમંત્રીએ ભારત સરકારને વધુ જથ્થો ખરીદી કરવા માટે કરેલી રજૂઆતને પગલે રાજ્યના ખેડૂતો પાસેથી રૂ. ૧૫,૦૦૦ કરોડની મગફળી અને પ્રતિ ખેડૂત ૧૨૫ મણ મગફળી ખરીદવાનો ઉદારતમ નિર્ણય કરવામાં આવ્યો હતો.
ખેડૂતો માટેના રાહત પેકેજ અંગે રાજ્ય સરકારે શું કહ્યું?
નાયબ મુખ્યમંત્રીએ કૃષિ રાહત પેકેજ અંગે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે થયેલી પાક નુકસાનીથી ખેડૂતોને બેઠા કરવા ઐતિહાસિક રૂ. ૧૦,૦૦૦ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સહાય મેળવવા માટે આજ સુધીમાં રાજ્યના કુલ ૧૦ લાખથી વધુ ખેડૂતોએ VCE મારફત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી છે.
આ ઉપરાંત સપ્ટેમ્બર-૨૦૨૫માં વરસેલા અતિભારે વરસાદમાં સહાયરૂપ થવા રાજ્ય સરકારે પાંચ અસરગ્રસ્ત જિલ્લા માટે રૂ. ૧,૧૩૮ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ અંતર્ગત સહાય મેળવવા માટે પણ આજ સુધીમાં કુલ ૧.૨૫ લાખ જેટલા ખેડૂતોએ VCE મારફત ઓનલાઈન અરજી કરી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, બંને રાહત પેકેજમાં રાજ્ય સરકારે પિયત અને બિનપિયત બંને પાકો માટે એક સમાન રૂ. ૨૨,૦૦૦ પ્રતિ હેક્ટર (બે હેક્ટરની મર્યાદામાં) સહાય આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત વાવ થરાદ અને પાટણ જિલ્લામાં જમીન સુધારણા માટે ખાસ કિસ્સામાં ખેડૂતોને રૂ. ૨૦,૦૦૦ પ્રતિ હેક્ટરની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.