પંજાબઃ ગેંગસ્ટર જગ્ગુ ભગવાનપુરિયાની માતા અને સંબંધીની ગોળી મારીને હત્યા કરાઈ
બટાલાઃ પંજાબના બટાલામાં કુખ્યાત ગેંગસ્ટર જગ્ગુ ભગવાનપુરિયાની માતા હરજીત કૌર અને તેના બોડીગાર્ડ કરણવીરની બે અજાણ્યા બાઇક સવાર હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટના મોડી રાત્રે બટાલાના કાદિયન ટોલ બેરિયર પાસે બની હતી.
મળતી માહિતી મુજબ, કરણદીપ સિંહ અને હરજીત કૌર સ્કોર્પિયોમાં જઈ રહ્યા હતા. દરમિયાન બાઇક પર આવેલા હુમલાખોરોએ તેમની કાર પર ગોળીઓ ચલાવી હતી. હત્યાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ગોળી વાગવાથી કરણદીપ સિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે હરજીત કૌર ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેણીને બટાલાથી અમૃતસર રિફર કરવામાં આવી હતી, જ્યાં તેણીનું પણ મૃત્યુ થયું હતું. મૃત્યુ પામેલા બોડીગાર્ડ, કરણવીર સિંહ, જગ્ગુના મામાનો પુત્ર હોવાનું કહેવાય છે.
બટાલા પોલીસના ડીએસપી સિટી પરમવીર સિંહે જણાવ્યું હતું કે તેમને ગોળીબારની ઘટનાની માહિતી મળી હતી. જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે એક યુવાનનું મોત થયું હતું. મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અમૃતસરમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ડીએસપીએ પુષ્ટિ કરી નથી કે તે ગેંગસ્ટર જગ્ગુની માતા છે. પોલીસે અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે.
આ દરમિયાન, બંબીહા ગેંગ સાથે સંકળાયેલા હરિયાણાના બે કુખ્યાત ગેંગસ્ટર પ્રભુ દાસુવાલ અને કૌશલ ચૌધરીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ સમગ્ર ઘટનાની જવાબદારી લીધી છે. પોલીસ આ ઘટનાને ગેંગ વોર તરીકે જોઈ રહી છે, કારણ કે જગ્ગુ લાંબા સમયથી પંજાબમાં ગુનાની દુનિયામાં સક્રિય છે. તેની ઘણી હરીફ ગેંગ સાથે અથડામણ થઈ છે.