બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારના વિરોધમાં અમદાવાદમાં વિરોધ પ્રદર્શન યોજાશે
અમદાવાદઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર મામલે ભારત સરકારે નારાજગી વ્યક્ત કરી છે અને હિન્દુઓ તથા તેમના ધાર્મિક સ્થળો ઉપર થતા હુમલાઓ તાત્કાલિક અટકાવવા માંગણી કરવામાં આવી રહી છે. બીજી તરફ સમગ્ર દેશમાં બાંગ્લાદેશની ઘટનાના ઘેરા પડઘા પડ્યાં છે અને વિવિધ સંગઠનો દ્વારા રેલીઓ યોજીને બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચાર અટકાવવા માટે યોગ્ય પગલા ભરવાની માંગણી ઉઠી રહી છે. દરમિયાન આવતીકાલે અમદાવાદમાં પણ હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારના વિરોધમાં વિશાળ માનવ સાંકળની રચના કરવામાં આવશે.
વિશ્વ સંવાદ કેન્દ્રના મોહિત દિવાકરએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશની વર્તમાન ઘટનાઓના વિરોધમાં હિન્દુ હિત રક્ષા સમિતિ, અમદાવાદ દ્વારા આવતીકાલે વિશાળ માનવ સાંકળ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવશે. સવારે 8.30 કલાકે વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે વિરોધ પ્રદર્શન યોજાશે. જેમાં સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિરના મહંત પૂ. દિલીપદાસજી મહારાજ, આરએસએસના પશ્ચિમ ક્ષેત્ર સહકાર્યવાહ યશવંતભાઈ ચૌધરી, આરએસએસ ગુજરાત પ્રાંતના સંઘચાલક ડો. ભરતભાઈ પટેલ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે.