ભાવનગર-સુરતની દૈનિક ધોરણે ટ્રેન શરૂ કરવા રેલવે મંત્રીને રજુઆત
- ભાવનગર-સુરત વચ્ચે નિયમિત ટ્રેન દોડાવાય તો સારો ટ્રાફિક મળે તેમ છે,
- ભાવનગર-અયોધ્યા વચ્ચે નવી ટ્રેન દોડાવવા માગ,
- ભાવનગરથી ટ્રેનો વાયા સુરેન્દ્રનગરને બદલે ધંધુકા-ગાંધીગ્રામથી દોડાવવા માગ
ભાવનગરઃ શહેર અને જિલ્લાના લોકો રોજગાર-ધંધા માટે સુરત સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલી જિલ્લાના ઘણાબધા પરિવારો સુરતમાં સ્થાયી થયેલા છે. અને વાર-તહેવારોમાં તેમજ અન્ય પ્રસંગોમાં સુરતના વસવાટ કરતા ભાવનગર જિલ્લાના લોકો પોતાના માદરે વતન આવતા હોય છે. એટલે જ ભાવનગર અને અમરેલી જિલ્લામાંથી સૌથી વધુ ખાનગી લકઝરી બસો સુરત જતી અને આવતી હોય છે.આમ બન્ને શહેરો વચ્ચે પ્રવાસી ટ્રાફિક ખૂબ રહે છે. છતાંયે ભાવનગરથી સુરત જવા માટે સીધી ટ્રેનની કોઈ સુવિધા નથી. આથી ભાવનગરના ભાજપના સ્થાનિક આગેવાનોએ સાંસદ અને કેન્દ્રિય મંત્રી એવા નિમુબેન બાંભણિયાને સાથે રાખીને રેલવે મંત્રી અશ્વિનિ વૈષ્ણવને મળી રજૂઆતો કરી હતી. રેલવે મંત્રીએ ભાવનગર-સુરત દૈનિક ટ્રેન ફાળવવા માટે હૈયાધારણા આપી છે અને તેના અંગેનો સર્વે પણ કરાવવા કહ્યું હતુ.
ભાવનગરથી સુરતની સીધી ટ્રેન શરૂ કરવા તેમજ ભાવનગર- અયોધ્યા વચ્ચે સાપ્તાહિક ટ્રેન દોડાવવા તેમજ અમદાવાદ તરફ જતી ટ્રેનો જે વાયા સુરેન્દ્રનગર વિરમગામથી દોડાવાય છે, જે વધુ સમય લેતી હોવાથી ટ્રેનો વાયા ધંધુકા-ધોળકા- ગ્રાધીગ્રામથી દોડાવવાની પણ માગ કરવામાં આવી હતી. ભાજપના વરિષ્ઠ આગેવાન કિશોરભાઇ ભટ્ટ, હરદેવસિંહ ગોહિલ, કે.ડી.શાહ, હિતેષ પરીખ, કૌશિક અજવાળીયા સહિતનું પ્રતિનિધિ મંડળ દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી બાંભણીયાને સાથે રાખી રેલવે મંત્રીની મુલાકાત લીધી હતી. 25 મીનીટ ચાલેલી ગોષ્ઠી દરમિયાન ભાવનગર-સુરત વચ્ચે દૈનિક ટ્રેન ફાળવવા માટે ડેટા, આધાર પુરાવા સાથે રજૂઆતો કરવામાં આવી હતી, ઉપરાંત ભાવનગરને પ્રીમિયમ ટ્રેન ફાળવવાની પણ માંગ કરવામાં આવી હતી. ભાવનગર-સુરત ટ્રેન માટે રેલવે મંત્રીએ પ્રાથમિક સર્વે કરાવવા આદેશ આપ્યા છે.
રેલવે મંત્રીને ભાવનગર-અયોધ્યા વચ્ચે સાપ્તાહિક ટ્રેન, ભાવનગરને લગતી નવી યોજનાઓ, હરિદ્વાર ટ્રેનને દૈનિક કરવા, ભાવનગર-ભુજ ટ્રેન, અને ભાવનગર-ઓખા ટ્રેનનો સમય દ્વારકા મંદિરના દર્શન થઇ શકે તેમ અનુકુળ કરવા માટેની રજૂઆતો કરવામાં આવી હતી.