અમદાવાદમાં સ્વચ્છ નવરાત્રી મહોત્સવ સ્પર્ધામાં વિજેતા સોસાયટીઓને ઈનામો અપાશે
- એએમસી દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા આયોજન કરાયુ,
- નવરાત્રિ પર્વ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો પડશે,
- રહેણાંક વિસ્તાર તથા સામૂહિક ગરબા એમ બે કેટેગરીમા સ્પર્ધા યોજાશે
અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે આ વખતે સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા-2025નું આયોજન કરવામાં આવ્યુ છે. નવરાત્રિ પર્વ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો પડશે. શહેરના રહેણાંક વિસ્તાર તથા સામૂહિક ગરબા એમ બે કેટેગરીમા સ્પર્ધા યોજી બંને કેટેગરીમાં ત્રણ ત્રણ વિજેતાને રોકડ પુરસ્કાર આપશે. શહેરીજનોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તેવા ઉદેશ્યથી એએમસી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ નવરાત્રિ પર્વ દરમિયાન ગરબાના તથા આસપાસના સ્થળોને સ્વચ્છ રાખવા રહેણાંક એકમોની કેટેગરીમાં સોસાયટીઓ, ફલેટ વગેરે તથા સામૂહિક ગરબા કેટેગરીમાં પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ કે ખુલ્લા પ્લોટમાં આયોજિત કરવામાં આવતા ગરબાનો સમાવેશ કરાયો છે. સ્પર્ધામા ભાગ લેવા સંબંધિત વોર્ડના પબ્લિક હેલ્થ સુપરવાઈઝર મારફતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને ફોર્મ ભરાવાનુ રહેશે. સ્પર્ધા માટે કોર્પોરેશન સાથે લાયઝન કરવા માટે એક નોડલ વ્યકિત નીમવો પડશે. રહેણાંક સોસાયટીઓ ઉપરાંત ફલેટ, હાઈરાઈઝ ટાવર, પોળ, શેરી કે ગામતળ વિસ્તારની સોસાયટીઓ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. ઝીરો વેસ્ટ થીમ ઉપર ગરબા આયોજીત કરનારને મૂલ્યાંકનમાં વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે. ઝોન અને શહેર સ્તરે વિજેતા નકકી કરવા ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં સમિતિ દ્વારા નિર્ણય કરવામા આવશે.
એએમસી દ્વારા સ્વચ્છ નવરાત્રી મહોત્સવ સ્પર્ધા માટે માપદંડ નક્કી કરાયા છે. જેમાં ગરબાના સ્થળ(કોમન પ્લોટ)ની આસપાસ ભીના-સૂકા કચરા માટે લીલા અને વાદળી રંગના ડસ્ટબિન અવશ્ય રાખવા પડશે. ના હોય તો સબઝોન કચેરીથી મેળવી શકાશે. તેમજ સોસાયટીમાં એકઠો થયેલો કચરો મ્યુનિના ગાર્બેજ વાહનમાં નિર્ધારીત સમયે આપવો પડશે. અને કોઈપણ સંજોગોમાં કચરો જાહેર રોડ કે ફુટપાથ ઉપર નાંખવો નહીં.