ખાનગી વાહન ચાલકોને ટોલટેક્સ મામલે મળશે મોટી રાહત, નીતિન ગડકરીએ મહત્વની જાહેરાત
નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ બુધવારે એક ઐતિહાસિક પહેલની જાહેરાત કરી હતી. દેશમાં 15મી ઓગસ્ટથી, ખાનગી વાહનો (જેમ કે કાર, જીપ, વાન, વગેરે) માટે રૂ. ૩,૦૦૦ નો FASTag-આધારિત વાર્ષિક પાસ જારી કરવામાં આવશે. આ પાસ સક્રિયકરણની તારીખથી એક વર્ષ અથવા ૨૦૦ ટ્રિપ્સ, જે વહેલું હોય તે માટે માન્ય રહેશે. આ સુવિધા ખાસ કરીને બિન-વાણિજ્યિક વાહનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેથી રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સરળ અને સીમલેસ મુસાફરી સુનિશ્ચિત કરી શકાય.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, NHAI અને MoRTH ની વેબસાઇટ્સ અને 'હાઇવે ટ્રાવેલ એપ' પર આ પાસ માટે ટૂંક સમયમાં એક અલગ લિંક ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે પાસના સક્રિયકરણ અને નવીકરણને સરળ અને અનુકૂળ બનાવશે.
નવી વાર્ષિક પાસ નીતિનો હેતુ 60 કિમીની ત્રિજ્યામાં સ્થિત ટોલ પ્લાઝા સંબંધિત જૂની સમસ્યાઓનું નિરાકરણ કરવાનો છે. તેના મુખ્ય ફાયદાઓ એક જ ડિજિટલ વ્યવહાર દ્વારા ટોલ ચુકવણીને સરળ બનાવવા, ટોલ પ્લાઝા પર રાહ જોવાનો સમય ઘટાડવા, ભીડ ઘટાડવા અને વિવાદોને દૂર કરવા છે. આ જાહેરાતથી લાખો ખાનગી વાહનચાલકોને મોટી રાહત મળવાની અપેક્ષા છે, જેનાથી તેમની મુસાફરી ઝડપી તો બનશે જ, સાથે સાથે વધુ આરામદાયક અને તણાવમુક્ત પણ બનશે.