ઈન્દોર-અમદાવાદ હાઈવે પર ખાનગી બસ પલટી, 13 પ્રવાસીઓને ઈજા
- દાહોદના જેકોટ નજીક છાયણ ઘાટીમાં હાઈવે પર બસ પલટી,
- ઈજાગ્રસ્ત પ્રવાસીઓને દાહોદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા,
- સ્થાનિક લોકોએ દોડી આવીને પ્રવાસીઓને બહાર કાઢ્યા
દાહોદઃ રાજ્યના હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે અમદાવાદ-ઈન્દોર હાઈવે પર એક ખાનગી બસ પલટી ગઈ હતી. દાહોદના જેકોટ નજીક છાયણ ઘાટીમાં આજે સોમવારે વહેલી સવારે એક ખાનગી બસ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં 13 શ્રમિક પરિવારના મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ગોંડલથી મધ્યપ્રદેશ જઈ રહેલી બસમાં શ્રમિકો અને તેમના પરિવારો વતન પરત ફરી રહ્યા હતા.
અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદ-ઈન્દોર હાઈવે પર છાયણ ઘાટી નજીક ખાનગી બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ લપસીને પલટી ગઈ હતી. અકસ્માતમાં બસના કાચ તૂટી ગયા અને મુસાફરોનો સામાન રસ્તા પર વિખેરાઈ ગયો હતો. મુસાફરોને માથા, હાથ-પગ અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ થઈ છે. બાળકો સહિત 13 થી ઘાયલ મુસાફરોને સારવાર દાહોદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આજે વહેલી પરોઢે ગોંડલથી મધ્યપ્રદેશ તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસમાં શ્રમિક પરિવારો મજૂરી કામ પરથી પોતાના વતન જઈ રહ્યા હતા. તે દરમિયાન વહેલી પરોઢે ઇન્દોર-અમદાવાદ હાઇવે ઉપર દાહોદના જેકોટ નજીક છાયણ ઘાટીમાં બસ ચાલકે સ્ટિયરિંગ ઉપર કાબૂ ગુમાવતા બસ ડિવાઈડર ઉપર ચઢી ગઈ હતી. ત્યારબાદ હાઈવે ઉપર જ બસે પલ્ટી મારી હતી. બસમાં ઊંઘી રહેલા મુસાફરો ફંગોળાઈને બહાર પડ્યા હતા. બસ પલટી ખાવાના જોરથી અવાજ, ચીસાચીસ અને બૂમાબૂમથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા મદદે પહોંચ્યા હતા. આ બનાવની જાણ દાહોદ ગ્રામ્ય પોલીસ તેમજ હાઇવે ઓથોરિટીના કર્મચારીઓ થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને 108 મારફતે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.સદનસીબે કોઈ જાનહાનિ નહોતી થઈ. શ્રમિક પરિવારો મજૂરી કરી લાંબા સમયે પોતાના વતન જવાની ખુશીમાં બસમાં સવાર હતા. ત્યારે ઘરે પહોંચવાની જગ્યાએ સીધા હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયા હતા.