વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુનિતા વિલિયમ્સને ભારત આવવાનું આમંત્રણ આપ્યું
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને પત્ર લખીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને લખાયેલ પત્ર શેર કરતા ટ્વીટ કર્યું હતું. પીએમએ પત્રમાં લખ્યું છે કે, "આખી દુનિયા સુનિતા વિલિયમ્સના સુરક્ષિત વાપસીની રાહ જોઈ રહી છે. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની આ દીકરી પ્રત્યે પોતાની ચિંતા અને સ્નેહ વ્યક્ત કર્યો છે..."
પીએમ મોદીએ પત્રમાં લખ્યું છે કે, "હું તમને ભારતના લોકો વતી શુભકામનાઓ પાઠવું છું. આજે, હું એક કાર્યક્રમમાં પ્રખ્યાત અવકાશયાત્રી માઇક માસ્સિમિનોને મળ્યો હતો. વાતચીત દરમિયાન તમારું નામ આવ્યું અને અમે ચર્ચા કરી કે અમને તમારા અને તમારા કાર્ય પર કેટલો ગર્વ છે. આ ચર્ચા પછી, હું તમને પત્ર લખવાથી મારી જાતને રોકી શક્યો નહીં."
પીએમએ આગળ લખ્યું હતું કે, "જ્યારે પણ હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ અથવા રાષ્ટ્રપતિ બિડેનની અમેરિકાની મુલાકાત દરમિયાન તેમને મળ્યો, ત્યારે મેં હંમેશા તમારા સુખાકારી વિશે પૂછપરછ કરી." પીએમએ પત્રમાં લખ્યું છે કે 1.4 અબજ ભારતીયોને હંમેશા તમારી સિદ્ધિઓ પર ગર્વ છે. તાજેતરના વિકાસે ફરી એકવાર તમારી પ્રેરણાદાયી દ્રઢતા અને સખત મહેનતને ઉજાગર કરી છે. ભલે તમે હજારો માઈલ દૂર છો, તમે અમારા હૃદયની ખૂબ નજીક છો. ભારતના લોકો તમારા સારા સ્વાસ્થ્ય અને મિશનની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ લખ્યું, "બોની પંડ્યા ચોક્કસ તમારા પાછા ફરવાની રાહ જોશે અને મને ખાતરી છે કે સ્વર્ગસ્થ દીપકભાઈની શુભકામનાઓ પણ તમારી સાથે છે. 2016 માં મારી અમેરિકા મુલાકાત દરમિયાન તમને અને દીપકભાઈને મળવાની મીઠી યાદો મારી પાસે હજુ પણ છે. તમારા પાછા ફર્યા પછી, અમે ભારતમાં તમારું સ્વાગત કરવા આતુર છીએ. ભારત માટે તેની પ્રતિષ્ઠિત પુત્રીઓમાંની એકનું સ્વાગત કરવું ગર્વની વાત હશે. હું માઈકલ વિલિયમ્સને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. તમને અને બેરી વિલ્મોરને સુરક્ષિત વાપસી માટે શુભકામનાઓ."
(PHOTO-FILE)