For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં ધાર્મિક સ્થળો પરના દબાણો હટાવાયા

05:02 PM May 28, 2025 IST | revoi editor
અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં ધાર્મિક સ્થળો પરના દબાણો હટાવાયા
Advertisement
  • ડિમોલિશન પહેલાં ધાર્મિક વસ્તુઓ-પુસ્તકો હટાવાયાં
  • અગાઉ ડિમોલિશન વખતે ધાર્મિક સ્થાનોના દબાણો તોડાયા ન હતા
  • મ્યુનિ દ્વારા ડિમોલિશન દરમિયાન પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો

 અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ચંડાળા તળાવ આસપાસના ગેરકાયદે દાબાણો હટાવવા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યુ હતું. ત્રણ તબક્કે કરાયેલી ડિમોલિશનની કાર્યવાહીમાં ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા નહતા, ત્યારે આજે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પોલીસના સઘન બંદોબસ્ત સાથે ધાર્મિક દબાણો હટાવવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.આજે વહેલી સવારથી હાથ ધરાયેલી ડિમોલિશનની કાર્યવાહીમાં ગરીબ નવાબ મસ્જિદ, હનુમાન મંદિર તેમજ અન્ય મંદિર-મસ્જિદ સહિતનાં ધાર્મિક સ્થાનો દૂર કરાયાં છે

Advertisement

શહેરના ચંડોળા તળાવમાં ફરી એકવાર ડિમોલિશનની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ચંડોળા તળાવ વિસ્તારમાં અગાઉ તમામ કાચાં પાકાં નાનાં-મોટાં મળી 12000થી વધુ દબાણો તોડી પાડવામાં આવ્યાં હતાં, પરંતુ કેટલાંક મંદિર-મસ્જિદ જેવાં ધાર્મિક સ્થાનો તોડવાનાં બાકી રાખવામાં આવ્યાં હતાં. આજે 28 મેના રોજ સવારથી કોર્પોરેશનના દક્ષિણ ઝોન અને અન્ય ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ગરીબ નવાબ મસ્જિદ, હનુમાન મંદિર તેમજ અન્ય મંદિર-મસ્જિદ સહિતનાં ધાર્મિક સ્થાનો દૂર કરાયાં છે. ઇસનપુર દશા માતા મંદિર નજીક તળાવની કેટલીક જગ્યામાં નાનાં કાચાં-પાકાં મકાનો પણ તોડવામાં આવ્યાં હતાં.

ચંડોળા વિસ્તારમાં સરકારી જમીન પર બનાવેલા  20 ધાર્મિક સ્થાનો દૂર કરાયાં બાદ બાકી રહેલાં સાતથી આઠ જેટલાં ધાર્મિક સ્થાનો દૂર કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ઇસનપુર સૂર્યનગર ચોકીથી શાહઆલમ તરફ જતા ગરીબ નવાબ મસ્જિદ આવેલી છે, જે ચંડોળા તળાવમાં સૌથી મોટી મસ્જિદ ગણાય છે, એને આજે દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે.

Advertisement

ચંડોળા તળાવ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી અને સેક્ટર 2 જેસીપી તેમજ ઝોન 6 ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને 500થી વધુ પોલીસકર્મચારીઓના બંદોબસ્ત સાથે ધાર્મિક સ્થાનો તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. દરેક ઝોનના અધિકારીને અલગ અલગ ધાર્મિક સ્થાન તોડવાની માહિતી આપી દેવામાં આવી હતી. 5 હિટાચી મશીન, જેસીબી સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધાર્મિક સ્થાનો તોડવાની કાર્યવાહી કરવામાં આવી છે. ગરીબ નવાબ મસ્જિદ ચંડોળામાં સૌથી મોટી મસ્જિદ હતી, જેથી તેને સૌથી પહેલા ખાલી કરાવી દેવામાં આવી હતી. જેટલી પણ ધાર્મિક વસ્તુઓ અને પુસ્તકો સહિતની ચીજવસ્તુઓ હતી એને મસ્જિદમાંથી હટાવી લેવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement