દુનિયામાં ભારતને મજબૂતીથી આગળ ધપાવવા પ્રણવ અદાણીનું આહ્વાન
અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને એગ્રો, ઓઇલ એન્ડ ગેસ બિઝનેસના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ અદાણીએ ભારતને 'વિચારશીલ નેતા' બનાવવા માટે થિંક ટેન્કસને હાકલ કરી છે. ચિંતન રિસર્ચ ફાઉન્ડેશન (CRF) ના પ્રથમ સ્થાપના દિવસે બોલતા, પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે, "દુનિયા વૈકલ્પિક, સમાન ભાગીદારી શોધી રહી છે, અને લાંબા સમયથી વણઉકેલાયેલા પ્રશ્નોને હવે કેન્દ્ર સ્થાને લાવવાનો સમય પાકી ગયો છે.
પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે “ભારતીય થિંક ટેન્કોએ દેશને વિશ્વમાં 'વિચારશીલ નેતા' બનાવવા માટે સહયોગ કરવો જોઈએ. ચિંતન રિસર્ચ ફાઉન્ડેશન(CRF)ના સ્થાપના દિવસે તેમણે દુનિયાભરમાં ભારતનું સ્થાન મજબૂતીથી આગળ ધપાવવા સૌને અપીલ કરી હતી.“ તેમણે ઉમેર્યુ હતું કે CRF ટૂંક સમયમાં અન્ય દેશો સાથે સાર્થક અને અસરકારક વાતચીત સુનિશ્ચિત કરવા માટે રાજદ્વારી સમુદાય સાથે નજીકથી કામ કરશે."
અદાણી ગ્રુપ ત્રણ દાયકાથી મહત્વપૂર્ણ માળખાગત ક્ષેત્રોમાં વૃદ્ધિને આગળ ધપાવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે "અમારા ચેરમેન ગૌતમ અદાણી હંમેશા કહે છે, 'વિકાસ સંખ્યાઓ દ્વારા નહીં પરંતુ આપણે જે જીવનને સ્પર્શ કરીએ છીએ તેના દ્વારા માપવો જોઈએ'." પ્રણવ અદાણીએ વધુમાં કહ્યું, "હું ખાતરી આપું છું કે CRF તમારા કાર્યને સમર્થન આપવા પુરાવા-આધારિત સંશોધન અને નિષ્ણાત આંતરદૃષ્ટિ પ્રદાન કરશે. તે નીતિ નિર્માતાઓને સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા અને સંવાદ માટે પ્લેટફોર્મ પૂરું પાડશે, ભારતના ભાવિને ઉજ્વળ બનાવવા મુશ્કેલ પ્રશ્નોનો જવાબ આપશે."
પ્રણવભાઈએ કહ્યું હતું કે, "જ્યારે આપણે આબોહવા પરિવર્તન વિશે વાત કરીએ છીએ, ત્યારે ઊર્જા સંક્રમણ મોટી ભૂમિકા ભજવે છે, અને ભારત આજે જે રીતે ભૂમિકા ભજવી રહ્યું છે, તે સમગ્ર વિશ્વ પર મોટી અસર કરશે. અમે (પેરિસ) COP માં આપેલા વચન પર આગળ વધી રહ્યા છીએ. અમે અશ્મિભૂત ઇંધણથી નવીનીકરણીય ઊર્જા તરફ આગળ વધી રહ્યા છીએ, અને તે માર્ગે ગ્રીન અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યા છીએ. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવ અંગેના પ્રશ્નનો જવાબ આપતા પ્રણવ અદાણીએ કહ્યું કે "વિદેશમાં સ્થિત અમારી સંપત્તિઓ સુરક્ષિત છે અને તેના વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી."