અમદાવાદમાં રથયાત્રાના રૂટ્સ પર પોલીસે બુલેટ માર્ચ યોજી પેટ્રોલિંગ કર્યું
- બુલેટ માર્ચમાં પીઆઈ, પીએસઆઈ સહિત 100 પોલીસ કર્મીઓ જોડાયા,
- જગન્નાથ મંદિરના મહંતે લીલી ઝંડી બતાવી બુલેટ માર્ચનો પ્રારંભ કરાવ્યો,
- પોલીસ દ્વારા હવે ફૂટ પેટ્રોલિંગ અને રિહર્સલ પણ કરવામાં આવશે
અમદાવાદઃ શહેરમાં દર વર્ષે પરંપરાગતરીતે યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસ બાકી છે, ત્યારે પોલીસ દ્વારા પણ બંદોબસ્તની તૈયારીઓ કરી દેવામાં આવી છે. દરમિયાન પોલીસ વિભાગના પીઆઈ, પીએસઆઈ સહિત 100 જેટલા કર્મચારીઓએ રથયાત્રાના રૂટ પર બુલેટ માર્ચ યોજી હતી. સેક્ટર 1 જેસીપી અને જગન્નાથ મંદિરના મહંત દ્વારા લીલી ઝંડી બતાવી બુલેટ માર્ચનો પ્રારંભ કરાવ્યો હતો. 100 જેટલા બુલેટ બાઈક પર પોલીસ જવાનો દ્વારા રથયાત્રા રૂટ પર પેટ્રોલિંગ કર્યું હતું.
શહેરના જગન્નાથજીના મંદિરથી રથયાત્રાના રૂટ્સ પર પોલીસ દ્વારા બુલેટ માર્ચ યોજીને પેટ્રોલિંગ કરવામા આવ્યું હતું. રાતે 10:30 વાગ્યાથી પેટ્રોલિંગ શરૂ થયું હતું. જે જગન્નાથ મંદિરથી નિકળીને રથયાત્રાના રૂટ જમાલપુર, ખાડિયા, પાંચકુવા, કાલુપુર, સરસપુર, પ્રેમદરવાજા, દરિયાપુર, દિલ્હી ચકલા, શાહપુર, માણેકચોક થઈને મંદિર સુધી પરત આવ્યું હતું. સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. બુલેટ માર્ચમાં પીઆઇ, પીએસઆઈ સહિતના 100થી વધુ પોલીસકર્મીઓ જોડાયા હતા. આ અંગે ઝોન 3 ડીસીપી વિશાખા ડબરાલે જણાવ્યું હતું કે, રથયાત્રાને લઈને બુલેટ પર પેટ્રોલિંગ શરૂ કર્યું છે. રથયાત્રાનો સંપૂર્ણ રૂટ જગન્નાથ મંદિરથી શરૂ કરીને જગન્નાથ મંદિર સુધીના સમગ્ર રૂટ પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. સમગ્ર રૂટ પરના સેન્સિટિવ પોઈન્ટ ચેક કરીશું. કોઈ શંકાસ્પદ લાગે તો તેની તપાસ કરવામાં આવશે. રથયાત્રાના રૂટ પર કોઈ પોઇન્ટમાં સુધારા વધારા લાગે તો તે પણ કરીશું.
પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને રિહર્સલ પણ કરવામાં આવશે બુલેટ પેટ્રોલિંગ બાદ પોલીસ દ્વારા એકતા મેચનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ કોમના લોકો વચ્ચે કોમી એકતા રહે તે માટે ક્રિકેટ મેચ રમાડવામાં આવશે. રથયાત્રાની તૈયારીના ભાગરૂપે પોલીસ દ્વારા રૂટ પરના વીસ મહોલ્લા મિટિંગ પણ કરવામાં આવશે. રથયાત્રાના રૂટ પર અગાઉના દિવસોમાં પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ અને રિહર્સલ પણ કરવામાં આવશે.