પ્રધાનમંત્રી 1લી ઓક્ટોબરના રોજ RSS શતાબ્દી સમારોહમાં ભાગ લેશે
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 ઓક્ટોબર, 2025ના રોજ સવારે 10:30 વાગ્યે નવી દિલ્હીના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી રાષ્ટ્રમાં RSSના યોગદાનને દર્શાવતી ખાસ ડિઝાઇન કરેલી સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડશે અને સભાને સંબોધન પણ કરશે.
1925માં મહારાષ્ટ્રના નાગપુરમાં ડૉ. કેશવ બલીરામ હેડગેવાર દ્વારા RSSની સ્થાપના નાગરિકોમાં સાંસ્કૃતિક જાગૃતિ, શિસ્ત, સેવા અને સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપવાના હેતુથી એક સ્વયંસેવક સંગઠન તરીકે કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્રીય પુનર્નિર્માણ માટે એક અનોખું જન-પોષિત આંદોલન છે. તેનો ઉદય સદીઓથી ચાલતા વિદેશી શાસનના પ્રતિકાર તરીકે જોવામાં આવે છે અને તેનો સતત વિકાસ ધર્મમાં મૂળ રહેલા ભારતના રાષ્ટ્રીય ગૌરવના તેના દ્રષ્ટિકોણના ભાવનાત્મક પડઘાને આભારી છે.
સંઘનો પ્રાથમિક ભાર દેશભક્તિ અને રાષ્ટ્રીય ચારિત્ર્ય નિર્માણ પર છે. તે માતૃભૂમિ પ્રત્યે ભક્તિ, શિસ્ત, આત્મ-નિયંત્રણ, હિંમત અને બહાદુરી જગાડવાનો પ્રયાસ કરે છે. સંઘનું અંતિમ લક્ષ્ય ભારતની "સર્વાંગીણ ઉન્નતિ" (સર્વાંગી વિકાસ) છે, જેના માટે દરેક સ્વયંસેવક પોતાને સમર્પિત કરે છે.
છેલ્લી સદીમાં RSSએ શિક્ષણ, આરોગ્ય, સમાજ કલ્યાણ અને આપત્તિ રાહત ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. RSS સ્વયંસેવકોએ પૂર, ભૂકંપ અને ચક્રવાત સહિત કુદરતી આફતો દરમિયાન રાહત અને પુનર્વસન કાર્યમાં સક્રિયપણે ભાગ લીધો છે. વધુમાં RSSની વિવિધ સંલગ્ન સંસ્થાઓએ યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવવા, જાહેર ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક સમુદાયોને મજબૂત બનાવવામાં યોગદાન આપ્યું છે.
શતાબ્દી ઉજવણી ફક્ત RSSની ઐતિહાસિક સિદ્ધિઓનું સન્માન જ નથી કરતી પરંતુ ભારતની સાંસ્કૃતિક યાત્રા અને રાષ્ટ્રીય એકતાના સંદેશમાં તેના સતત યોગદાનને પણ પ્રકાશિત કરે છે.