પીએમએ 90,000 કરોડ રૂપિયાથી વધુના આઠ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને સમાવતા અતિ-સક્રિય શાસન અને સમયસર અમલીકરણ માટે આઇસીટી-આધારિત મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ પ્રગતિની 46મી આવૃત્તિ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં આઠ મહત્ત્વપૂર્ણ પરિયોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ત્રણ રોડ પ્રોજેક્ટ્સ, રેલવે અને બંદર, શિપિંગ અને જળમાર્ગોના બે-બે પ્રોજેક્ટ સામેલ હતા. વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પથરાયેલા આ પ્રોજેક્ટ્સનો સંયુક્ત ખર્ચ આશરે રૂ. 90,000 કરોડ છે.
પ્રધાનમંત્રી માતૃવંદના યોજના (પીએમએમવીવાય)થી સંબંધિત ફરિયાદોના નિવારણની સમીક્ષા કરતી વખતે પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યો હતો કે, તમામ મંત્રાલયો અને વિભાગોએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે લાભાર્થીઓની ઓળખ બાયોમેટ્રિક્સ-આધારિત આધાર પ્રમાણભૂતતા અથવા ખરાઈ મારફતે ચુસ્તપણે થાય. પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં વધારાના કાર્યક્રમોને સંકલિત કરવાની સંભવિતતા ચકાસવાની પણ સૂચના આપી હતી. ખાસ કરીને બાળકોની સારસંભાળને પ્રોત્સાહન, સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની પદ્ધતિઓમાં સુધારો કરવા, સ્વચ્છતા સુનિશ્ચિત કરવા અને માતા અને નવજાત શિશુની સંપૂર્ણ સુખાકારીમાં પ્રદાન કરતા અન્ય સંબંધિત પાસાંઓનું સમાધાન કરવાનું છે.
રિંગ રોડનાં વિકાસ સાથે સંબંધિત માળખાગત પ્રોજેક્ટની સમીક્ષા દરમિયાન પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રિંગ રોડનાં વિકાસને વિસ્તૃત શહેરી આયોજનનાં પ્રયાસોનાં મુખ્ય ઘટક તરીકે સંકલિત કરવો જોઈએ. આ વિકાસનો સર્વગ્રાહી રીતે સંપર્ક સાધવો જોઈએ. જેથી એ સુનિશ્ચિત થાય કે તે આગામી 25થી 30 વર્ષોમાં શહેરના વિકાસના માર્ગ સાથે સુસંગત થાય અને તેને ટેકો આપે. પ્રધાનમંત્રીએ એવી પણ સૂચના આપી હતી કે, વિવિધ આયોજન મોડલનો અભ્યાસ કરવો જોઈએ, ખાસ કરીને સ્વ-ટકાઉપણાને પ્રોત્સાહન આપતા મોડલ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જેમાં પણ ખાસ કરીને રિંગ રોડની લાંબા ગાળાની વ્યવહારિકતા અને કાર્યદક્ષ વ્યવસ્થાપનના સંદર્ભમાં. તેમણે જાહેર પરિવહન માટે પૂરક અને ટકાઉ વિકલ્પ તરીકે શહેરના પરિવહન માળખામાં સર્ક્યુલર રેલ નેટવર્કને સંકલિત કરવાની શક્યતા ચકાસવા પણ વિનંતી કરી હતી.
જલ માર્ગ વિકાસ પ્રોજેક્ટની સમીક્ષા દરમિયાન પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ક્રુઝ ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે આ પટ્ટાઓ સાથે એક મજબૂત સામુદાયિક જોડાણ સ્થાપિત કરવા માટેનાં પ્રયાસો થવા જોઈએ. તે વ્યાવસાયિક વિકાસ માટે તકોનું સર્જન કરીને, ખાસ કરીને 'એક જિલ્લા એક ઉત્પાદન' (ઓડીઓપી) પહેલ અને અન્ય સ્થાનિક હસ્તકલા સાથે સંકળાયેલા કારીગરો અને ઉદ્યોગસાહસિકો માટે એક જીવંત સ્થાનિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપશે. આ અભિગમનો હેતુ માત્ર સામુદાયિક જોડાણમાં વધારો કરવાનો જ નહીં, પરંતુ જળમાર્ગને અડીને આવેલા પ્રદેશોમાં આર્થિક પ્રવૃત્તિ અને આજીવિકા ઉત્પાદનને ઉત્તેજીત કરવાનો પણ છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રકારનાં આંતરિક જળમાર્ગો પ્રવાસન માટે પણ પ્રેરકબળ હોવાં જોઈએ.
પ્રધાનમંત્રીએ વાતચીત દરમિયાન પ્રધાનમંત્રી ગતિશક્તિ અને અન્ય સંકલિત પ્લેટફોર્મ જેવા સાધનોનો ઉપયોગ કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. જેથી સંપૂર્ણ અને ભવિષ્યલક્ષી આયોજનને સક્ષમ બનાવી શકાય. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રકારનાં સાધનોનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં સમન્વય સ્થાપિત કરવા અને માળખાગત સુવિધાનાં અસરકારક વિકાસને સુનિશ્ચિત કરવા મહત્ત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રીએ વધુમાં તમામ હિતધારકોને એ સુનિશ્ચિત કરવાની સૂચના આપી હતી કે, તેમના સંબંધિત ડેટાબેઝને નિયમિતપણે અપડેટ કરવામાં આવે અને ચોકસાઈપૂર્વક જાળવવામાં આવે, કારણ કે સુમાહિતગાર અને અસરકારક આયોજન માટે વિશ્વસનીય અને વર્તમાન ડેટા આવશ્યક છે. પ્રગતિની બેઠકોનાં 46માં સંસ્કરણ સુધી આશરે રૂ. 20 લાખ કરોડનાં કુલ ખર્ચ ધરાવતાં 370 પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી.