કોલકાતાની હોટલમાં આગની ઘટનાને લઈને પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું, વળતરની કરાઈ જાહેરાત
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતાના બડા બજારમાં એક હોટલમાં આગ લાગવાથી 14 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકો અને ઘાયલોને વળતરની પણ જાહેરાત કરી.પ્રધાનમંત્રી કાર્યાલયે બુધવારે પોતાના X એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું, "કોલકાતામાં આગ દુર્ઘટનામાં થયેલા જાનહાનિથી દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના.
ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત, ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે." પશ્ચિમ બંગાળ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
તેમણે એક નિવેદનમાં કહ્યું, "મચ્છુઆ બજારમાં એક હોટલમાં આગ લાગવાથી મહિલાઓ અને બાળકો સહિત 14-15 લોકોના મોત થયા. આ માત્ર એક ઘટના નથી પણ હત્યા છે કારણ કે આવી ઘટનાઓ વારંવાર બની રહી છે. કોલકાતામાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ફાયર બ્રિગેડ મંત્રી અને મુખ્યમંત્રીએ આ તરફ ધ્યાન આપવું જોઈએ, પરંતુ મુખ્યમંત્રી પાસે સમય નથી. તેઓ ફક્ત ઉજવણી કરવામાં વ્યસ્ત છે."
આઈએએનએસ સાથે વાત કરતા, પ્રત્યક્ષદર્શી ચંચલ ગુપ્તાએ જણાવ્યું કે મંગળવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ હોટલમાં આગ લાગી હતી. આગ લાગ્યા પછી, ફાયર બ્રિગેડની ટીમને ઘટનાસ્થળે પહોંચવામાં એક કલાક લાગ્યો અને લગભગ અઢી કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો. સવારે ૪.૩૦ વાગ્યાની આસપાસ હોટલમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં લગભગ 18 થી 20 લોકોના મોત થયા છે.
આ ઘટના મંગળવારે મોડી રાત્રે બની હતી. કોલકાતાના બડા બજારમાં મચ્છુઆ ફ્રૂટ માર્કેટ સ્થિત ઋતુરાજ હોટેલમાં અચાનક આગ લાગી ગઈ. આ આગ એટલી ભીષણ હતી કે થોડી જ વારમાં તેણે આખી હોટેલને પોતાની ઝપેટમાં લઈ લીધી અને હોટેલ ધુમાડાથી ભરાઈ ગઈ. આ દરમિયાન હોટલમાં હાજર કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડવા લાગ્યા. જોકે, ધુમાડામાં શ્વાસ લેવાથી તેમનું મૃત્યુ થયું.